મહેસાણા
મહેસાણાને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હવે વધુ એક તાલુકો ઉમેરાવા જઈ રહ્યો છે. વિજાપુર તાલુકાના કુકરવાડા ગામને તાલુકો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે. આ તાલુકામાં વિજાપુરનાં ૨૧, માણસાનાં ૯ અને મહેસાણાનાં ૩ ગામોનો સમાવેશ કરાશે. જિલ્લા તંત્રએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નરને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલી છે. સેટલમેન્ટ કમિશ્નરની કામગીરી પૂર્ણ થયા બાદ કુકરવાડા નવો તાલુકો બની શકે છે. સંસદ સભ્ય, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની ભલામણ, ૩૩ ગામોના તમામ સરપંચના અભિપ્રાય સાથેની દરખાસ્ત મોકલાઈ છે. વિજાપુરથી કુકરવાડા વચ્ચેનું અંતર ૧૭ કિમી, માણસાથી ૧૬ તેમજ મહેસાણાનું ૩૫ કિમી અંતર દર્શાવતી વિગતોનો સમાવેશ થયો છે.
