છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખુશાલપુરા ગામે મેણ નદી પર રૂા. ૫.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત બ્રીજનું લોકાર્પણ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
પુલના લોકાર્પણ પ્રસંગે ખુશાલપુરા તેમજ આજુબાજુના ગામના લોકોમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સિમેલ ગામના વિહારીભાઇ જેઠાભાઇ રાઠવાએ આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, અમારી અનેકવિધ મુશ્કેલીઓનો અંત આવ્યો છે.
વિહારીભાઇએ માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નસવાડી તાલુકાની પૂર્વપટ્ટીના ૭૦ થી ૭૫ ગામના લોકોને પુલ ન હતો ત્યારે મુશ્કેલીઓનો પાર ન હતો. અમારે નસવાડી તાલુકા મથકે કે અન્ય શહેરમાં જવાનું હોય તો ચોમાસામાં ગળા સુધીના પાણીમાંથી ઉતરીને જવું પડતું હતું. અમારા ઘણા ભાઇઓ તણાઇ ગયા છે. ગત વર્ષે બે બળદો પણ તણાઇ ગયા હતા. આમ પુલ ન હોવાને કારણે ઘણી દુર્ઘટનાઓ બની ચુકી છે. આઝાદીના ૭૫ વર્ષ બાદ અમારી સમસ્યાનું સમાધાન થયું છે.
આગળ વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજના આ લોકાર્પણ પ્રસંગે અમે પ્રભારી મંત્રી, સાંસદ અને ખાસ અમારા ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી તેમજ આ બ્રીજના કોન્ટ્રાકટર સહિત સૌનો આભાર માની ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


