પુલ ન હતો ત્યારે ખુશાલપુરા, ગઢ, સિમેલ અને ઝરી સહિતના ગામના લોકોને તકલીફ હતી હવે અમારી તકલીફ દુર થઇ છે. અમારા માટે સરકારે સારૂં કર્યું કહેવાય એમ ખુશાલપુરા ગામના પુંજીબેન રાઠવાએ જણાવ્યું હતું.
વાત જાણે એમ બની હતી કે, માર્ગ અને મકાન(પંચાયત), છોટાઉદેપુર દ્વારા નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખુશાલપુરા ગામે મેણ નદી પર રૂા. ૫.૨૨ કરોડના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજીક ન્યા અને અધિકારિતા મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
લોકાર્પણના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખુશાલપુર ગામના પુંજીબેન રાઠવા સાથે વાતચીત દરમિયાન તેમણે ઉપર મુજબની વાત કરી હતી. વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પાણી ઉતરવાની રાહ જોતા લોકો આ પાર બેસી રહેતા, પેલી પાર બેસી રહેતા, ઘણા લોકો તણાઇ પણ ગયા હતા. આ નાળા પરથી પસાર થતા લોકો પડેને ઉઠે, ગાડીવાળા પણ પડી જતા હતા. ઘણા વર્ષો સુધી તકલીફમાં રહ્યા.
પુલ બની જવાથી ખૂબ આનંદ થયો છે. હવે લાગે છે કે, અમારી પારાવાર મુશ્કેલીઓનો અંત આવ્યો છે એમ પુંજીબેને જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


