આસામ
એક તરફ દેશના પશ્ચિમ છેડે બિપરજાેયનો કહેર છે. વાવાઝોડા અને ભારે વરસાદે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બિપરજાેય હવે રાજસ્થાન તરફ વળ્યું છે, તો આ બાજુ દેશના પૂર્વ છેડે આસામમાં પૂરને કારણે હાહાકાર મચી ગયો છે. આસામના ૭ જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમાં લગભગ ૩૪ હજાર લોકો પૂરથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. શુક્રવારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૨૯ હજાર હતી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ હજાર લોકો તેનાથી પ્રભાવિત થયા છે, ત્યારબાદ કુલ અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૪ હજાર થઈ ગઈ છે. તેમાંથી ત્રણ હજાર માત્ર બાળકો છે. મળતી માહિતી મુજબ લખીમપુર જિલ્લામાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં ૨૨ ગામોના ૨૩ હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ સિવાય વિશ્વનાથ, દરરંગ, ધેમાજી, ડિબ્રુગઢ, તામુલપુર અને ઉદલગુરી જિલ્લા પણ પૂરના વિનાશનો સામનો કરી રહ્યા છે. બચાવ ટીમો સતત રાહત કાર્યમાં લાગેલી છે. લોકોને સલામત સ્થળે લઈ જઈને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદે પણ અહીં હાહાકાર મચાવ્યો હતો. અનેક વૃક્ષો તૂટીને પડી ગયા છે. અનેક મકાનોને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે પડેલા ભારે વરસાદ દરમિયાન કેટલાંક મકાનો પર અનેક વૃક્ષો પડી ગયા હતા, જેના કારણે મકાનોને ભારે નુકસાન થયું હતું. દરમિયાન, સિક્કિમમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અહીં ઘણા રસ્તાઓ બંધ છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના ૨ હજાર પ્રવાસીઓ અહીં ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર સિક્કિમ જિલ્લા મુખ્યાલય મંગનથી ચુંગથાંગ સુધીનો માર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ૧૯૭૫ ભારતીયો અને ૩૬ સ્થાનિક પ્રવાસીઓ ફસાયા છે. ૩૬ વિદેશી પ્રવાસીઓમાંથી ૨૩ બાંગ્લાદેશના, ૧૦ અમેરિકન અને ત્રણ સિંગાપોરના છે. આ ઉપરાંત અનેક વાહનો પણ અટવાયા છે. અહેવાલો અનુસાર, ઉત્તર સિક્કિમમાં કુલ ૩૪૫ કાર અને ૧૧ મોટરબાઈક અલગ-અલગ સ્થળોએ ફસાયેલી છે.


