વંથલી તાલુકાના નરેડી ગામે પ્લોટ વિહોણા લાભાર્થીઓને ન્યાય અપાવવા ભાજપના આગેવાનો મેદાને
તા.પં ઉપપ્રમુખ પતિ અને ન્યાય સમિતિ ચેરમેનના પિતાની તંત્રને રજૂઆત
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે 100 ચોરસ વાર પ્લોટના લાભાર્થી તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓને છેલ્લા 1 વર્ષથી ગ્રામ પંચાયત નરેડી તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ફક્ત પ્લોટ ના નામે આશ્વાસન આપતા હોય તેવા ગંભીર આક્ષેપો સાથે લાભાર્થીઓએ જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે હવે અમોની ધીરજ ખૂટી છે. અમો અમારા બાળ બચ્ચા તથા પરિવાર સાથે વંથલી મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બનીશું સાથે સાથે લાભાર્થીઓએ ઇચ્છામૃત્યુની પણ લેખિત પરવાનગી માંગી હતી.
વધુમાં મામલતદારને વંથલી તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિ અને ભાજપના જાણીતા અગ્રણીઓ મનોજભાઈ ઠુંમર અને ન્યાય સમિતિ ચેરમેનના પિતા કાંતિભાઈ કાબા દ્વારા લાભાર્થીઓને સાથે રાખી લેખિત ઉગ્ર રજૂઆત સાથે જણાવ્યું હતું કે આવનાર 2 દિવસની અંદર કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારના વહીવટી તંત્ર સામે ભાજપના જ જાણીતા આગેવાનોને ન્યાય માટે આંદોલન ના મંડાણ કરવા પડે છે તો સામાન્ય લોકો અને જનતા નાં માસુમ પ્રશ્નો નો નીકલ કઈ રીતે થતો હશે? તેવા અનેક સવાલો હાલ તો પંથકના લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.વધુમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓને ન્યાય અપાવવા આવનાર દિવસોમાં ખુદ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનના પિતા કાંતિભાઈ કાબા તંત્ર સામે લાભાર્થીઓને સાથે રાખી ઉપવાસ આંદોલન કરાશે.ત્યારે જોવું જ રહ્યું કે આવનાર દિવસોમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે અવાજ ઉઠાવનાર ભાજપના આગેવાનો શું ખરેખર ન્યાય અપાવી શકશે કે પછી ભાજપ સરકારથી નારાજગી વ્યક્ત કરી પીછેહટ કરશે તે તો આવનાર સમય જ બતાવશે.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી
