સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલા સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચોમાસાના આગમન સાથે જ રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ વરસતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાતના ધરતીપુત્રોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, અડદ, મગ, સોયાબીન અને તલ જેવા ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ કરી લીધી છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસેલા શ્રીકાર વરસાદના પરિણામે પાણીની આવક થતા રાજ્યના ડેમો અને જળાશયો પોતાની છલક સપાટીએ છે. જેથી વર્ષ દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાલાયક પાણી મળી રહેશે, તે બાબતે પણ કૃષિ મંત્રીએ આનંદ વ્યક્ત કર્યો છે.
