નવી દિલ્હી
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મંગળવારે ટિ્વટ કરીને સમીર વાનખેડે પર ૨૬ આરોપો લગાવ્યા હતા અને એન્ટી નાર્કોટિક્સ એજન્સીની આડમાં વસૂલી થતી હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. તેમાં નવાબ મલિકે સમીર વાનખેડેનું કથિત ‘નિકાહનામુ’ જાહેર કર્યું છે. નવાબ મલિકે લખ્યું હતું કે, ‘વર્ષ ૨૦૦૬માં ૭ ડિસેમ્બર, ગુરૂવારે રાતે ૮ઃ૦૦ વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના નિકાહ થયા હતા. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે થયા હતા.’ અન્ય એક ટ્વીટમાં મહારાષ્ટ્રના મંત્રીએ લખ્યું હતું કે, ‘નિકાહમાં ૩૩ હજાર રૂપિયા મેહર તરીકે આપવામાં આવ્યા હતા. તેમાં સાક્ષી નંબર ૨ અઝીઝ ખાન હતા. તેઓ યાસમીન દાઉદ વાનખેડેના પતિ છે જે સમીર દાઉદ વાનખેડેની બહેન છે.’


