જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા પ્રાથમિક શાળા ખાતે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો હતો
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ આયોજિત, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ સંચાલિત કરમદી ચિંગરીયા પ્રાથમિક શાળાના સહયોગથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન તારીખ ૨૫ થી ૨૯ જુલાઈ દરમિયાન કરમદી ચિંગરીયા પ્રાથમિક શાળા માંગરોળ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ શાળાઓના ૬ થી ૧૪ વર્ષના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપમાં પૂજાબેન મકવાણાએ નિષ્ણાંત તરીકે સેવા આપેલ હતી. આ ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ માં બાળકો એ રાષ્ટ્રીય એકતા, કુદરતી દ્રશ્યો, મારી માટી મારો દેશ, પનિહારી, મારુ ગામ જેવા વિષય પર પેઇન્ટિંગ અંગેની તાલીમ મેળવેલ હતી.
સમાપન કાર્યક્રમમાં સરપંચ કરમદી ચિંગરીયા ના હિતેશભાઈ સગારકા, અધ્યક્ષ એસએમસી વિજયભાઈ કરગઠિયા, આચાર્ય કરમદી ચિંગરીયા પ્રાથમિક શાળા યોગેશભાઈ ડોડીયા અને શાળાનો સ્ટાફ ઉપસ્થીત રહી બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. એમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


