Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા એટલે બિમાર અશક્ત લૂલી લંગડી કે બિમાર ગાયોનું આશ્રય સ્થાન. આ સંસ્થાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર પણ આવી જીવદયાની પ્રવૃત્તિ માટે સાવરકુંડલા શહેર માટે પ્રેરણાસ્રોત જ ગણાય. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ તો આ અધિક શ્રાવણ માસનાં  આ પરશોતમ માસમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ વિશેષ થતી હોય છે.
સાવરકુંડલા શહેરમાં રખડતાં ભટકતાં પશુઓની સંખ્યા પણ પ્રમાણમાં થોડી વધુ છે. આવા લાચાર બેબસ મુંગા અબોલ પશુઓની સાર સંભાળ કોણ રાખે? સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટીમાં એક સંપૂર્ણ અશક્ત અને રોગગ્રસ્ત વાછડો જાણે મોતના ઓથાર હેઠળ સોસાયટીના એક ખૂણે પડ્યો કણસી રહ્યો હતો. આ સમયે આ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોસ્ટ વિભાગના કર્મચારી બિપીનભાઈ પંડ્યાએ પત્રકાર બિપીનભાઈ પાંધીની સાથે મળીને આ અતિ દુર્બળ અને ચાલવા તો ઠીક પણ ભોજન કરી શકવા માટે પણ સંપૂર્ણ અશકત એવાં આ વાછરડાની સેવા શુશ્રૂષા કરતાં જોવા મળ્યા. આ સંદર્ભે સાવરકુંડલાના સેવાભાવી નગરપાલિકા સદસ્ય પિયુષભાઈ મશરૂને આ વાછરડાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે પશુ ચિકિત્સક મોકલી આ વાછરડાને તબીબી સારવાર કરી. પરંતુ બીજા દિવસે પાછી એ ની એ સ્વાસ્થય સંબંધિત સ્થિતિ જોવા મળતાં બીજા દિવસે અહીં સાવરકુંડલા ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળાનાં પ્રમુખ શ્રી રાજુભાઈ બોરીસાગરનો ફોન પર સંપર્ક કરી સઘળી હકીકત જણાવતાં તુરંત જ તેણે પશુ ચિકિત્સક શુભમ જોષીને આ વાછરડાની તબીબી તપાસ અર્થે મોકલેલ. આ પશુ ચિકિત્સક દ્વારા પણ ઇંજેક્શન આપી સારવાર કરી. પરંતુ સંપૂર્ણ અશક્તિ હોય આ વાછરડાની સઘન તબીબી સારવાર આવશ્યક હોય તેમને સાવરકુંડલા શહેરની અપંગ, અશક્ત અને બિમાર ગાયોની સાર સંભાળ રાખતી શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. જો કે જીવન મૃત્યુ તો ઈશ્ર્વરને આધિન છે. છતાં જીવદયા એ સૌથી શ્રેષ્ઠ માનવીય ગુણ ગણાય.
આવી રખડતી ભટકતી અશક્ત, લાચાર, બેબસ, પશુઓની દેખભાળ સાવરકુંડલાની શ્રી કૃષ્ણ ગૌશાળા લે છે. આજરોજ આ ગોશાળા ખાતે એક કેન્સરગ્રસ્ત ગાયનું તબીબી ઓપરેશન પણ  કરવામાં આવેલ જ્યારે નાગનાથ સોસાયટીની ભટકતી રખડતાં વાછડાને શ્રી કૃષ્ણ ગૌશાળાએ હાથ ઝાલતાં હાલ તેની તબીબી સારવાર ચાલી રહી છે. ખરેખર ધાર્મિક સાથે સામાજિક સેવાના કાર્યો કરતી તમામ સંસ્થાઓ અભિનંદનને પાત્ર છે. આ સંસ્થા સાથે જોડાયેલા તમામ જીવદયા પ્રેમીઓને શત શત નમન.
મોટાભાગના લોકો આ પરશોતમ માસમાં ધરમ કરમ અથવા સેવાભાવી પ્રવૃત્તિ કરતાં હોય છે તો વળી કોઈ હરદ્વાર, ઋષિકેશ જેવા પવિત્ર ધાર્મિક સ્થાનોએ દર્શનાર્થે જતાં જોવા મળે છે. પરંતુ સાવરકુંડલા શહેરમાં વસતાં બિપીનભાઈ પંડ્યા જેવા જીવદયા પ્રેમીઓએ પોતાની આસપાસ વસતાં આવા અબોલ પશુઓની સેવા કરી  જીવદયાના કાર્યો કરતાં પણ જોવા મળે છે. અને આજ એનું સાચું તિર્થ…આવાં સેવાભાવી લોકોને નત મસ્તક શત શત વંદન સાથે પ્રણામ. આપ પણ આપની આસપાસ કોઈ બિમાર અબોલ કે ભૂખથી પિડાતું પશુ જોવા મળે તો અવશ્ય યથાશક્તિ મદદરૂપ થશો અથવા આવા સેવાભાવી કાર્યો કરતી સંસ્થાઓની મુલાકાત લઈને યથાશક્તિ આર્થિક મદદ કરશો તો પણ એક પૂણ્યનું કાર્ય જ ગણાશે. કદાચ એ પણ સાચું તિર્થ જ હોય શકે.

20230802_183838.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *