આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાને પૂરવેગ પકડ્યો છે. તા. ૯ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આજ તા. ૧૬ ઓગસ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો હર્ષભેર પ્રારંભ થયો છે. પ્રારંભ સાથે આજના એક જ દિવસમાં ૧૧,૫૦૦ થી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે, જ્યારે ૧૦,૯૦૦ થી વધુ નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો છે.
આ ઉપરાંત ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનની વેબસાઈટ પર આજના દિવસમાં રાજ્યના ૯,૩૦૦ થી વધુ નાગરિકોએ તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરીને સહભાગિતા નોંધાવી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત પણ એક જ દિવસમાં ૬,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે, અને આગામી તા. ૨૦ ઓગષ્ટ સુધી તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.


