ગાંધીનગર
આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઇ રહ્યાં છે. ગુજરાતમાં તા. ૧૬ ઓગસ્ટથી આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાના કાર્યક્રમોનો હર્ષભેર પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે રાજ્યની ૨૬ તાલુકા પંચાયતોમાં આજે તા.૧૯ ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ૧૩,૨૯૭ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં ૧,૯૯૦ વૃક્ષોનું વાવેતર તેમજ વીર વંદના હેઠળ ૧૩૦ વીરો-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે ૨૬ શિલાફલકમનું સ્થાપન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં તાલુકા કક્ષાએ અંદાજે ૧,૧૦,૪૧૦ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજ વંદન કાર્યક્રમમાં સહભાગી થયા છે. આ ઉપરાંત ૨૧,૪૪૫ વસુધા વંદન કાર્યક્રમમાં વૃક્ષોનું વાવેતર તથા વીર વંદના હેઠળ ૧,૭૫૫ વીરો/વિરાંગનાઓ/પરિવારોને સન્માનિત કરાયા છે જ્યારે ૨૪૫ તાલુકા પંચાયતોમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું છે. હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દીવો રાખીને એક્તા અને અખંડિતતા માટે ૧,૧૦,૦૪૮ નાગરિકોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનને સફળતા મળી છે. તા. ૨૦ ઓગષ્ટ સુધી તાલુકા સ્તરે આ અભિયાનને સફળ બનાવવા નાગરિકોની સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.
જનક દેસાઇ
*-*-*-*


