છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલય કમલમ ના ખાતમુહૂર્તમાં પધારેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મોટી સંખ્યામાં હાજર રહેલ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કાર્યાલયના ખાતમુહૂર્તમાં વિલંબ થવા માટે હું આપ સહુ કાર્યકર્તાઓની માફી માંગુ છું.પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવું છું કે આ કાર્યાલય છ થી આઠ મહિનામાં તૈયાર કરી આપણી સેવામાં કાર્યરત કરવામાં આવશે.છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની સક્રિયતાના કારણે લોકસભા,વિધાનસભા અને જિલ્લા,તાલુકા પંચાયતોમાં ભાજપાનો ભગવો લહેરાયો છે.આવનારી લોકસભામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો આપણે પાંચ લાખથી વધુની લીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે.સાથે સાથે લોકસભાની ૪૦૦ બેઠકો જીતવાનો પણ દેશના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સંકલ્પ કર્યો છે તેના માટે સહુ કાર્યકર્તાઓને પોતપોતાના બૂથમાં સજ્જ થઇ કામે લાગી જવા જણાવ્યું હતું.દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ પ્રજાલક્ષી નિર્ણયોના કારણે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.વિરોધ પક્ષ કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું કે કોંગ્રેસ એ ડૂબતી નાવ છે.તેઓ પાસે કોઈ વિઝન રહ્યું નથી.માત્ર ચૂંટણી લડી ભ્રષ્ટાચાર કરવાનું મન મનાવી બેઠેલ કોંગ્રેસનું જહાજ ડૂબી ગયું છે.કોંગ્રેસમાં સારું કામ કરતા કાર્યકર્તાઓ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસયાત્રામાં જોડાઈ રહ્યા છે.છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી ડી એન રાજપૂત સહીત ૫૦ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને રામ રામ કરી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા હતા.

છોટાઉદેપુર જિલ્લા ભાજપ ના નવા કાર્યાલય કમલમ નું ખાત મુહૂર્ત કરાયું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
