સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
જ્યારે વડીલ વંદનાની વયસ્ક વંદના થતી હોય તેવી વેળાએ વડીલોને મળતી રેલવે મુસાફરી દરમિયાન યાત્રી ભાડામાં રાહત ફરી પાછી ક્યારે ચાલુ થશે?? એ વિષય સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આ સંદર્ભે સાવરકુંડલા સિનિયર સિટીઝન સંગઠનના હર્ષદભાઈ જોષી, બિપીનભાઈ પાંધી તથા રમેશભાઈ હીરાણીએ પણ તંત્રને જાહેર અપીલ દ્રારા જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો વધુ કશું જ નથી માંગતાં માત્ર તેના કોરોના સમય પહેલાના લાભો માંગે છે. જ્યારે આયખાંનાં મહત્વના વર્ષો સરકારને ટેક્સ ચૂકવીને પસાર કર્યા હોય ત્યારે સામાજિક દાયિત્વની ભાવના અને એ પણ ભારતીય સંસ્કૃતિના પ્રભાવ મુજબ જીવવાની ઢળતી સંધ્યાએ વરિષ્ઠ નાગરિકોએ કોરોના કાળ પહેલાં મળતાં રેલવે મુસાફરીના લાભોથી વંચિત રહેવું પડે તે ખરેખર ખેદજનક બાબત ગણાય. આપણો દેશ જ્યારે આર્થિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યો હોય અને ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન – ૩ ને ચંદ્ર પર સફળ લેન્ડીંગ કરાવી ચૂક્યા હોય તેવી વેળાએ દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે કીર્તિ પ્રાપ્ત કરતો જોવા મળી રહ્યો હોય તેવા સંજોગોમાં સિનિયર સિટીઝનને તેને કોરોના કાળ પહેલાં મળતાં રેલવે મુસાફરી ટીકીટ રાહતના લાભો પુનઃ કાર્યાન્વિત થાય એવું વરિષ્ઠ નાગરિકો ઈચ્છે છે. આ સંદર્ભે યુધ્ધના ધોરણે માનનીય વડાપ્રધાન ખુદે સિનિયર સિટીઝનના અગાઉ મળતાં લાભોને ફરી પુનઃ ચાલુ કરવા યોગ્ય દિશામાં પ્રયાસો કરવા જોઈએ એવું આ વર્ગ ઇચ્છી રહ્યો છે. વધુમાં જણાવવાનું કે કુલ વોટિંગની લગભગ ત્રીસ ટકા જેટલી સંખ્યા તો આ સિનિયર સિટીઝનની હોય સરકાર આ વર્ગની નારાજગી વહોરી લેશે કે પછી સિનિયર સિટીઝનના રેલવે મુસાફરી દરમિયાન કોરોના પહેલા મળતાં રાહત લાભો પુનઃ કાર્યાન્વિત કરશે? એ તો આવનારો સમય જ કહેશે..હવે લોકસભાની ચૂંટણી પણ ક્યાં ખૂબ દૂર છે?
