બ્રેઇન વ્યક્તિનાં અંગદાનથી ત્રણને નવજીવન મળશે, બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ
સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના રાજારામ જયસ્વાલના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળશે. ૧૪ મી નવેમ્બરે હેમરેજ થતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ૭ દિવસની સઘન સારવાર ના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યાં હતાં. ૭ દિવસ જીંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી જ્યારે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરંતુ આવી દુઃખની ઘડીમાં પણ પરોપકાર ભાવ સાથે પરિજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી ર્નિણય કરીને ત્રણ જરુરિયાતમંદોના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો.
બ્રેઇન ડેડ રાજારામના અંગોના રીટ્રાઇવલના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમા દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જાેશીએ આ અંગદાનના સંદર્ભે જણાવ્યું હતું કે, દિવાળી બાદ નવા વર્ષમાં આ જયસ્વાલ પરિવાર તરફથી કરવામાં આવેલ અંગદાને માનવતાની મિસાલ પ્રસ્થાપિત કરી છે. સિવિલમાં અત્યારસુધીમાં થયેલ ૧૩૭ અંગદાનમાં ૪૪૦ અંગો મળ્યાં છે.

