રાજ્યમાં ૬૪૯ જગ્યાઓ ભરાયેલી : વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર જગ્યાઓ ખાલી
ગાંધીનગર,
શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.
વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની ૧૧૨૨ જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી ૬૪૯ જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની ૪૭૩ જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

