વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભાજપ દ્વારા આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, છેલ્લા તબક્કા દરમિયાન વારાણસીમાં મતદાન થવાનું છે, એટલે કે ૧ જૂને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં મતદાન થશે. પી એમ મોદી ઉમેદવારી પત્ર ભરવા માટે ૧૩ મેના રોજ વારાણસી પહોંચશે. જોકે, તે બીજા દિવસે એટલે કે ૧૪ મેના રોજ ઉમેદવારી ફોર્મ ફાઇલ કરશે. આ પહેલા એટલે કે ૧૩ મેના રોજ પીએમ મોદી વારાણસીમાં એક વિશાળ રોડ શો કરશે.
પીએમ મોદીના ભવ્ય રોડ શોને લઈને ભાજપના કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત છે અને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ઉત્તર પ્રદેશ પ્રમુખ અજય રાય વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી સામે મેદાનમાં છે. અજય રાય વારાણસી સીટ પરથી પીએમ મોદી સામે ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ હાર્યા હતા.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં સાડા ચાર લાખથી વધુ મતોથી જીત્યા હતા. જ્યારે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી ૩.૩૭ લાખ મતોથી જીત્યા હતા. તે સમયે અરવિંદ કેજરીવાલ પણ વારાણસીથી ચૂંટણી લડ્યા હતા.

