Sports

ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બોલર જસપ્રીત બુમરાહે નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું

ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સન્માન માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં વંદે માતરમ ગાઈને વિજય પરેડનું સમાપન કર્યું. આ પછી ખેલાડીઓને સ્ટેજ પર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા જસપ્રીત બુમરાહને તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં બુમરાહે કહ્યું કે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે.T20 વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જે બાદ બુમરાહે હવે પોતાની નિવૃત્તિ અંગે ખુલીને વાત કરી છે. બુમરાહે કહ્યું કે તેનો અત્યારે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી, આ તો તેની શરૂઆત છે. તેઓએ હજુ વધુ આગળ વધવાનું છે.

જસપ્રિત બુમરાહ કહે છે કે સામાન્ય રીતે હું ક્યારેય રડતો નથી પરંતુ આ જીત અવિશ્વસનીય હતી. મારા પુત્રને જાેયા પછી મારી અંદર જે લાગણીઓ આવી તે ખૂબ જ આશ્ચર્યજનક હતી. આ પછી હું મારા આંસુ પર કાબુ ન રાખી શક્યો. હું બે-ત્રણ વાર રડ્યો. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાને જ્યારે પણ વિકેટની જરૂર પડી ત્યારે બુમરાહે ટીમને વિકેટ આપી. આ ટૂર્નામેન્ટમાં બુમરાહે ૪.૧૭ની ઈકોનોમી સાથે ૧૫ વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે ભારતને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.