કેનેડામાં વડાપ્રધાન પદ છોડ્યા બાદ જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી છે કે, તે આગામી સામાન્ય ચૂંટણી નહીં લડે. કેનેડામાં સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૨૫માં યોજાવાની છે. આ દરમિયાન ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું કે, ‘હું આગામી ચૂંટણી લડીશ નહીં. આ મારો ર્નિણય છે. મેં ભવિષ્યમાં શું કરીશ તે વિશે વધુ વિચાર્યું નથી. અત્યારે, હું તે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું જેના કારણે કેનેડાના લોકોએ મને મત આપ્યો હતો.’ જસ્ટિન ટ્રૂડો પહેલી વાર વર્ષ ૨૦૦૮માં ક્વૂબેકના પાપિનો મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.
ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં પ્રચંડ વિજય બાદ તેમણે વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં તેમની લિબરલ પાર્ટીએ ૩૩૮ માંથી ૧૮૪ બેઠકો જીતી. જાેકે, તેમને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧ની ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યા નહીં. છઠ્ઠી જાન્યુઆરીના રોજ જસ્ટિન ટ્રૂડોએ જાહેરાત કરી કે લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા પછી તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશે. પાર્ટીના નેતૃત્વની ચૂંટણી નવમી માર્ચે સમાપ્ત થશે અને નવા નેતાની પસંદગી સાથે ટ્રૂડોના સ્થાને બીજા વડાપ્રધાન આવશે.
વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં જસ્ટિન ટ્રૂડોને પાર્ટીમાં વધતા અસંમતિનો સામનો કરવો પડ્યો. ૧૬મી ડિસેમ્બરે નાણામંત્રી પદેથી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામાથી પક્ષમાં અસ્થિરતામાં વધારો થયો. ત્યારબાદ લગભગ ૧૦૦ સાંસદોએ ટ્રૂડોના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ટ્રૂડોએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
અત્યાર સુધી ઔપચારિક રીતે પોતાનો દાવો રજૂ કરનારા નેતાઓમાં ઇન્ડો-કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યનો પણ સમાવેશ થાય છે. જાેકે, વિદેશ મંત્રી મેલાની જાેલી, ડોમિનિક લેબ્લેન્ક, ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેન અને સંરક્ષણ મંત્રી અનિતા આનંદ જેવા સંભવિત મુખ્ય ઉમેદવારોએ નેતૃત્વની રેસમાં જાેડાવાનો ઈનકાર કર્યો છે.