ન્યુદિલ્હી
એમીક્રોમ વાઈરસના પગલે ભારતે સાઉથ આફ્રિકા પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. હવે બંને દેશોની વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ તારીખ ૨૬મી જાન્યુઆરીથી શરૃ થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ તારીખ ૧૬મી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા પ્રવાસે જવા માટે રવાના થશે. જે અગાઉ ભારતીય ક્રિકેટરો રવિવારથી બાયોબબલમાં પ્રવેશશે.ભારતના દિગ્ગજ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, મને લાગે છે કે, રહાણે પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. સાતત્ય ખુબ જ જરુરી છે. જાે મારે ટીમ પસંદગી કરવાની હોય તો હું રહાણેને સ્થાને શ્રેયસ ઐયરને તક આપું. તેણે જે પ્રકારે કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં અત્યંત તનાવ વચ્ચે સદી અને અડધી સદી ફટકારી છે, તે જાેતા તેને વધુ તક આપવી જરુરી છે. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ યુવા બેટ્સમેનમાં ભરોસો મુકે તે જરુરી છે. આ જ કારણે હું ઐયરને જ પ્રથમ પસંદગી આપું.છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મનો શિકાર બનેલા રહાણેને સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળે તે લગભગ નિશ્ચિત મનાય છે.સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટીમની પસંદગી માટે પસંદગીકારો વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ હતી. જે પછી બીસીસીઆઇ આવતીકાલે ભારતીય ટીમની જાહેરાત કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રહાણે ટીમમાં સ્થાન જાળવી રાખે તેમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેની શક્યતા ખુબ જ ઓછી જાેવામાં આવી રહી છે. જ્યારે હનુમા વિહારી પણ ટેસ્ટ ટીમમાં પુનરાગમન કરે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે. પુજારાના ફોર્મ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ છતાં તેેની છેલ્લી કેટલીક ઈનિંગ્સ ઉપયોગી સાબિત થઈ છે. તેના જેવા અનુભવી વનડાઉન બેટ્સમેનનું સ્થાન ટીમમાં નક્કી જ છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી હનુમા વિહારીને પડતો મૂકવામાં આવ્યો હતો. જે પછી તેને ઈન્ડિયા-એ ટીમની સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે પ્રભાવશાળી દેખાવ કરતાં ત્રણ મેચમાં ૨૦૦થી વધુ રન નોંધાવી દીધા છે. તેણે ઈન્ડિયા-એ તરફથી છેલ્લી ત્રણ ઈનિંગમાં અડધી સદીઓ ફટકારતાં આત્મવિશ્વાસ બતાવ્યો છે. જેના કારણે પસંદગીકારો તેને તક આપે તેવી શક્યતા પ્રબળ બની છે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન રોહિત પુનરાગમન કરશે તે નક્કી જેવું જ છે. હવે રોહિતની સાથે ભારત કોને ઓપનિંગમાં ઉતારશે તે જાેવાનું રહેશે. લોકેશ રાહુલ ઈજાના કારણે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી રમ્યો નહતો. જાે તે ફિટ થઈને પુનરાગમન કરે તો તે રોહિતની સાથે ઓપનિંગમાં ફર્સ્ટ ચોઈસ બની શકે છે. તેણે ચાલુ વર્ષે ૧ સદી અને ૧ અડધી સદી સાથે ૩૯.૩૭ની સરેરાશથી ૩૧૫ રન નોંધાવ્યા હતા. જ્યારે ગિલે ચાલુ વર્ષે ૨૮.૭૩ની સરેરાશથી ચાર અડધી સદી સાથે ૪૩૧ રન નોંધાવ્યા હતા. અગ્રવાલની સરેરાશ ૬૦.૫૦ની રહી છે અને તેણે ૨૦૨૧માં ૧ સદી અને ૧ અડધી સદી સાથે ૨૪૨ રન નોંધાવ્યા છે. હવે પસંદગીકારો કોનામાં વિશ્વાસ મુકે છે, તે જાેવાનું રહેશે. ઈશાંત શર્માનું ચાલુ વર્ષનું ફોર્મ અત્યંત નિરાશાજનક રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં આ વર્ષનું તેનું ફોર્મ સૌથી કંગાળ છે. તેણે ૨૦૨૧ની આઠ ટેસ્ટમાં ૧૪ વિકેટ ઝડપી છે. તેની સરેરાશ ૩૨.૭૧ની રહી છે અને તેનો ઈનિંગમાં શ્રેષ્ઠ દેખાવ ૪૮ રનમાં ત્રણ વિકેટ રહ્યો છે. ભારતીય પસંદગીકારો સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં બુમરાહ અને શમીને ફરી ટીમમાં સમાવશે તે નક્કી જેવું છે. જ્યારે સિરાજ પણ ટીમમાં સ્થાન જાળવી શકે છે. ઈશાંતને બદલે ઉમેશને તક મળી શકે છે. જ્યારે સ્પિનર તરીકે અશ્વિન અને જાડેજાનું સ્થાન નિશ્ચિત મનાય છે.


