મન અંજુમન
ડૉ. સ્નેહલ નિમાવત
9429605924
કેટલાં વર્ષો પછી ભેગાં થયાં.
કૈક આંસુ આંખથી વહેતાં થયાં.
આંખોથી આંખો મળી ગઇ જ્યાં સહજ,
રાતના ઉજાગરા ફળતાં થયાં.
ના રચાયો કોઇપણ સંવાદ તો,
મૌનવત શબ્દો ઘણું કહેતાં થયાં,
પામવું એ તો લકીરની વાત છે,
પ્રીતમાં જીવન સરળ જીવતાં થયાં.
અલ્પ બુદ્ધિ છે પ્રભુ સૌ એટલે,
બસ તમારું નામ લઈ સ્મરતાં થયા.
-અલ્પા શાહ
અલ્પા શાહ હાલ મુંબઈમાં વસે છે.તેમને બાળપણથી જ લેખન-વાંચનનો શોખ હતો. શાળામાં ગુજરાતી તેમની પ્રિય વિષય હતો. કોલેજ કાળ દરમ્યાન તેઓ કવિતાઓ લખતા. તેમની કવિતાઓ મિત્રોને સંભળાવતા અને એક બુકમાં એ બધી જ કવિતાઓ સંઘરી રાખતા. લગ્ન બાદ જવાબદારીમાં શોખ કોરાણે મૂકવો પડ્યો. ૨૦૧૯ માં ફરી તેમણે સાહિત્ય જગતમાં પગરણ માંડ્યા. સતત તેઓ લખવા લાગ્યા. મોર્ડન ભટ્ટ સ્પર્ધામાં તેમણે વિજેતા મેડલ મળેલ છે. ૨૦૨૨ માં તેમના બે પુસ્તકો પ્રકાશિત થયાં હતાં.1.મારી કલ્પનાનું આકાશ – પદ્ય સંગ્રહ ,2.સંબંધોની સૃષ્ટિ અલ્પાની દ્રષ્ટિ – ગદ્ય સંગ્રહ ,3.સંબંધોનો કાર્ડિયોગ્રામ – ગદ્ય સંગ્રહ. હાલમાં તેમનું ત્રીજું પુસ્તક પ્રકાશિત થયું છે. તેઓ ગદ્ય અને પદ્યમાં લખે છે. સાહિત્યમાં તેઓ ખૂબ જ રસ ધરાવે છે. તેમની આ કવિતા માણીએ…
“કેટલાં વર્ષો પછી ભેગાં થયાં.
કૈક આંસુ આંખથી વહેતાં થયાં.”
જીવન સતત વહ્યા જ કરે છે. કેટલાયે વર્ષો પછી કોઈ અધૂરું રહી ગયેલું સપનું અચાનક યાદ આવતા આંખોના ખૂણા ચોક્કસ ભીંજાઈ જાય છે. મન તરત જ જૂની યાદોના વંટોળમાં વિંટળાઈ જાય છે. સમયની રેત હજી એ યાદોને મિટાવી નથી શકી. યાદો મનમાં તો અકબંધ જ છે. જેવું મન યાદોને યાદ કરે કે એમ લાગે હજી તો ગઈકાલની જ વાત છે પણ હકીકતમાં તો વર્ષો વીતી ગયા હોય છે…..
“આંખોથી આંખો મળી ગઇ જ્યાં સહજ,
રાતના ઉજાગરા ફળતાં થયાં.”
કોઈ મનને ગમતી વ્યક્તિ આંખ સામે આવે કે મન બીજું કંઇ જોવા સમજવા કે વિચારવા માગતું જ નથી. મનને ગમતુ વ્યક્તિ જીવનમાં હોય કે ન હોય પણ એ મનમાં વસે છે અને જે મનમાં વસે છે એના માટે દિવસ શું કે રાત શું? પ્રેમમય જીવન હૃદયને મહેકાવી જાય છે. બે આંખો ચાર થાય પછી ઊંઘ તો આંખોમાં આવી જ નથી શકતી કેમ કે મનમાં વસે છે પ્રેમ….
“ના રચાયો કોઇપણ સંવાદ તો,
મૌનવત શબ્દો ઘણું કહેતાં થયાં,”
જ્યાં એકબીજાના મન સમજતા હોય ત્યાં શબ્દોનું કોઈ કામ જ નથી. જે એકબીજાની આંખો વાંચી લેતા હોય એને હોઠના શબ્દોની જરૂર પડતી નથી. જે એકબીજાના હૈયે વસતા હોય છે એ તો જોઈને જ સમજી જાય કે પ્રેમીના મનમાં શું છે. એ ખુશ છે કે કોઈ તકલીફમાં છે. એકબીજાના વર્તન પરથી સમજી જાય કે ક્યાં શું રંધાઈ રહ્યું છે. મૌન જ સમજાવી દે કે પ્રેમીના હ્રદયમાં શું છે. કેમકે તેઓ એકબીજાના હૃદયમાં વસે છે એટલે એકબીજાના હૈયા વાંચી લે છે….
“પામવું એ તો લકીરની વાત છે,
પ્રીતમાં જીવન સરળ જીવતાં થયાં.”
પ્રેમ મનથી પામી શકાય છે. પ્રેમ જીવનસાથી બની સાથે ચાલે એ જરૂરી નથી. જીવન એટલું વિકટ છે કે આપણને સપનામાં જ આપણો પ્રેમ મળે. ઘણી વખત એકબીજાના નસીબ સાથે નથી હોતા પણ તેઓ આજીવન એકબીજાને પ્રેમ કરતા જ રહે છે. કેમ કે પ્રેમ હૃદયની કુણી ભાવના છે. તેમના હૃદયના ઊંડાણમાં પ્રેમ હોય છે એટલે મનથી તેઓ એકબીજાના થઈ જાય છે અને એમના હૃદયમાંથી પ્રેમ વહ્યા જ કરે છે વહ્યા જ કરે છે. તેઓ હૃદયથી પ્રેમ પામી જાય છે…
“અલ્પ બુદ્ધિ છે પ્રભુ સૌ એટલે,
બસ તમારું નામ લઈ સ્મરતાં થયા.”
જીવનમાં સાદગી,પ્રેમ અને બંદગી હોય તો આ જીવન રૂપી ભાવસાર શ્રદ્ધા રૂપી નૈયાથી પાર ઉતરી શકીએ છીએ. ઈશ્વરનું નામ એવીરીતે સ્મરણ કરીએ કે કોઈને જાણ સુદ્ધા ન થાય. કોઈનું ખરાબ કરીએ નહીં, કોઈનું ખરાબ વિચારીએ નહીં. થાય તો કોઈનું સારું કરીએ નહિતર ઈશ્વરને યાદ કરીએ. ઈશ્વર શુદ્ધ પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરને આપણે પ્રેમ થકી જલ્દી પામી શકીએ છીએ. ઈશ્વર હૃદયના ઊંડાણથી સ્મરિએ તો તરત જ તેઓ આપણી સાથે છે એવી અનુભૂતિ આપણને થાય જ છે..
ટૂંકું ને ટચ
ઈશ્વરને નિઃસ્વાર્થ ભાવનાથી યાદ કરીએ તો એ આપણાથી દૂર નથી…