Gujarat

ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવનારા બે સામે FIR

સનાતન પરંપરામાં અડચણ ઉભી ન કરો, ‘તાકાત હોય તો પાકિસ્તાનમાં જઈ ધજા ફરકાવો’ : શેરનાથ બાપુ

જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો છે. આ મામલે નાથ સંપ્રદાયના સંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને સનાતન ધર્મના અગ્રણી સંતોએ આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી છે.

શ્રીનાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુશ્રી રાજનાથજી (ઉં.વ. ૫૫) દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, આશરે ૪ દિવસ પહેલા ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક (ચોથી ટૂંક) પર બે અજાણ્યા શખસે સફેદ કપડાં પહેરીને ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ શખસો નીચેથી જૈન સંપ્રદાયનો ઝંડો ચોરી-છુપીથી લઈ ગયા હતા અને ઓઘડ શિખર પર જઈને ફરકાવ્યો હતો. આ શખસોએ ત્યાં સૂત્રોચ્ચાર કરીને નાથ સંપ્રદાય અને જૈન સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટા અને વીડિયોના આધારે પોલીસે આ શખસની શોધખોળ હાથ ધરી છે. ઓઘડ શિખર પર થયેલા આ વિવાદ બાદ જૂનાગઢના અગ્રણી સંત યોગી શેરનાથજી બાપુનું આકરૂ નિવેદન સામે આવ્યું છે. તેમણે જૈન સમાજના આ કૃત્યની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ધર્મ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે, પરંતુ પોતાના ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરવા બીજાના ધાર્મિક સ્થાન પર જઈને ઉગ્રતા બતાવવી એ મોટામાં મોટો દોષ છે. આગામી સમયમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે.

આવા સમયે ગિરનારના શિખરો પર થતી આ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી જાહેર સુલેહ-શાંતિનો ભંગ થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. સંતોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જાે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી મેળા દરમિયાન અશાંતિ સર્જાઈ શકે છે. હાલમાં ભવનાથ પોલીસે ગુન્હો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

નોંધનીય છે કે, આ પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા જ ગિરનારના સાધુ-સંતોએ આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. થોડા દિવસો પહેલા જ નાથ સંપ્રદાયના સંતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને જૂનાગઢ ડ્ઢરૂજીઁને આવેદનપત્ર પાઠવ્યું હતું. તે સમયે સંતોએ આક્ષેપ કર્યો હતો કે, ઓઘડ શિખર પર ઓઘડનાથજીની પ્રાચીન ચરણ પાદુકા આવેલી છે, જે રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે. જૈન ધર્મના અમુક લોકો દ્વારા વર્ષોથી અહીં ખોટા હક-દાવા કરવામાં આવે છે. આવેદનપત્રમાં દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનીલ સાગરજી પર ઉશ્કેરણીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સંતોએ માગ કરી હતી કે, પવિત્ર પથ્થરો પર પેઈન્ટથી જે લખાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે અને જવાબદારો સામે હ્લૈંઇ નોંધવામાં આવે.