International

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, ૨૦ મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે ગંભીર તણાવ પેદા થયો છે. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળોએ એર સ્ટ્રાઈક કરી છે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે રવિવારે સવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, પાકિસ્તાની સેનાએ ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સના આધારે ‘તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન‘ અને ઈસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા સાત આતંકી કેમ્પ પર હુમલો કર્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં થયેલા આત્મઘાતી હુમલાઓ માટે જવાબદાર આતંકીઓ અફઘાનિસ્તાનની ધરતી પરથી ઓપરેટ થઈ રહ્યા હતા. ખાસ કરીને બે અઠવાડિયા પહેલા ઈસ્લામાબાદની શિયા મસ્જિદમાં થયેલા ભયાનક બ્લાસ્ટના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના દાવાને નકારતા કહ્યું છે કે પાકિસ્તાની જેટ વિમાનોએ રહેણાંક વિસ્તારો અને ધાર્મિક મદરેસાઓને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના પક્તિકા અને નંગરહાર પ્રાંતમાં થયેલી આ એર સ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૧૯ નાગરિકોના મોતની પુષ્ટિ થઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે નંગરહારના બેહસુદ જિલ્લામાં એક મકાન પર થયેલા હુમલામાં એક જ પરિવારના ૧૯ સભ્યોના મોત થયા છે, જેમાં ૮૦ વર્ષના વૃદ્ધથી લઈને એક વર્ષના બાળકનો સમાવેશ થાય છે. અફઘાન અધિકારીઓએ આ હુમલાની આકરી નિંદા કરી છે અને જણાવ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન છે. તાલિબાન સરકારે ચેતવણી આપી છે કે આ હુમલાનો ખૂબ જ જલ્દી બદલો લેવામાં આવશે. હાલમાં પ્રભાવિત વિસ્તારોમાં કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે સરહદી વિવાદ અને આતંકવાદ મુદ્દે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે, જે આ તાજી એર સ્ટ્રાઈક બાદ વધુ વકરવાની આશંકા છે.