International

છત્તીસગઢમાં મંદિરથી પરત ફરી રહેલી રોપવે ટ્રોલી પડી; ૧નું મોત, ૬ ઘાયલ

છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં રવિવારે એક ટેકરીની ટોચ પર આવેલા મંદિર પરથી નીચે ઉતરતી વખતે રોપવે ટ્રોલી અથડાતા ૨૮ વર્ષીય મહિલાનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું.

બાગબહડા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નમિતા માર્કોલએ જણાવ્યું હતું કે, ભીમખોજ ગામના ખલ્લારી પાસે સવારે ૧૦ વાગ્યે ટ્રોલીનો કેબલ તૂટી જતાં આ અકસ્માત થયો હતો.

“ખલ્લારી માતા મંદિરથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને લઈ જતી ટ્રોલી લગભગ ૨૦૦-૩૦૦ ફૂટની ઊંચાઈથી નીચે પડી ગઈ હતી,” તેમણે જણાવ્યું હતું.

મૃતકની ઓળખ રાયપુરની આયુષી સતકર (૨૮) તરીકે થઈ છે. તેના પતિ ઋષભ ધાવરે (૨૯), અને એક સગીર સંબંધી છાયાંશ ધાવરે (૧૬), ગોવિંદ સ્વામી (૪૭), નમિતા સ્વામી (૪૮) અને બે સગીર – કુષ્મિતા સ્વામી (૧૦) અને મનશ્વી ગોદરિયા (૧૨) સાથે થઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં છ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને તેમાંથી ચારને પછીથી વધુ સારવાર માટે રાયપુર રિફર કરવામાં આવ્યા હતા.

લગભગ ૧,૧૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત ખલ્લારી માતા મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો દ્વારા રોપવે સેવાનો વ્યાપક ઉપયોગ થાય છે. યાત્રાળુઓ લગભગ ૯૦૦ પગથિયાં ચઢીને પણ મંદિર સુધી પહોંચી શકે છે. પીડિતોએ ચાલુ નવરાત્રિ ઉત્સવ દરમિયાન મંદિરની મુલાકાત લીધી હતી.

આ ઘટના બાદ, લગભગ ૧૦ મુસાફરોને લઈ જતી બીજી ટ્રોલી, જે હમણાં જ ચઢવાનું શરૂ કરી હતી, તેને તાત્કાલિક પાયા પર પાછી લાવવામાં આવી હતી. જાેકે તે ટ્રોલીમાં સવાર મુસાફરોને જાેરદાર ઝટકો લાગ્યો હતો, પરંતુ કોઈ મોટી ઈજા થઈ નથી.

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને વિગતવાર તપાસનો આદેશ આપ્યો. એક નિવેદનમાં, તેમણે અકસ્માતને “અત્યંત દુ:ખદ અને પીડાદાયક” ગણાવ્યો, શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો.

અધિકારીઓએ અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ કહ્યું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગયા વર્ષે આવી જ એક ઘટનામાં, રાજનાંદગાંવ જિલ્લામાં બામલેશ્વરી દેવી ટેકરી મંદિર પાસે રોપવે ટ્રોલી ઓછી ઊંચાઈથી અથડાતાં એક ભાજપ નેતા ઘાયલ થયા હતા.