જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આઈજીના નિરીક્ષણના બે કલાકમાં જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પટ્ટણી વાડ વિસ્તારમાં આવેલા ખાટકીવાડ પાસેના ‘વ્હાઇટ હાઉસ’માં બનેલા 72 ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આઈજી નિર્લિપ્ત રાયે વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. નિરીક્ષણ દરમિયાન ગેરકાયદેસર બાંધકામોની વિગતો સામે આવતા, તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો
આઈજીના આદેશ બાદ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સક્રિય બન્યો. ગણતરીના બે કલાકમાં જ ગેરકાયદેસર રૂમોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આ કાર્યવાહી ઝડપી અમલીકરણનું ઉદાહરણ પૂરું પાડે છે
આઈજી નિર્લિપ્ત રાયની આ ત્વરિત કામગીરીથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં સ્પષ્ટ સંદેશ પહોંચ્યો છે. જામનગર પોલીસે આ કાર્યવાહી દ્વારા શહેરમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કે અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તે દર્શાવ્યું છે.
આ ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં પોલીસ તંત્રના કડક વલણ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ ઘટનાસ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

