Gujarat

કર્મચારીઓ-પેન્શનરોને ઝડપી ન્યાય મળશે

હાઈકોર્ટના ચુકાદાને ૪૫ દિવસની અંદર અમલી કરવો ફરજીયાત, તમામ વિભાગોને કડક સૂચના

રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ ટાળવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્ર મુજબ, હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ ૪૫ દિવસની અંદર કરવું ફરજીયાત રહેશે. ચુકાદા મળ્યાના ૧૨ દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે, જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે ૮ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ત્યારબાદ ખાતાના વડાએ ૧૦ દિવસની અંદર દરખાસ્તની ચકાસણી પૂર્ણ કરવી પડશે અને આખરી ર્નિણય ૧૫ દિવસમાં લેવો અનિવાર્ય રહેશે. જાે નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમયવધારા માટે ફરજીયાત અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાયપ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાણાં વિભાગના આ પરિપત્રથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબા સમયથી બાકી રહેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે, તેમજ સરકારી વિભાગોની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત બનશે.