જામનગરના કલેક્ટર કેતન ઠક્કર એક વર્ષ અને બે મહિનાના કાર્યકાળ બાદ વયનિવૃત્ત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

ઠક્કરે શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, તેમજ શહેરી અને ગ્રામ્ય વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમના પ્રયાસોથી વહીવટીતંત્ર વધુ પારદર્શક, જવાબદાર અને જનતાભિમુખ બન્યું હતું. તેમની ઝડપી નિર્ણયશક્તિ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને કાર્યદક્ષ પ્રશાસક તરીકેની ઓળખ આપી હતી.

વિદાય સમારંભમાં સહકર્મીઓ અને મહાનુભાવોએ તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે જામનગર સાથેનો તેમનો સંબંધ માત્ર સરકારી ફરજ પૂરતો સીમિત ન રહેતા ઊંડી લાગણી અને નૈતિક જવાબદારી સાથે જોડાયો હતો. તેમણે ફરજ દરમિયાન તમામ નાગરિકો અને સહકર્મીઓ તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

વિદાય પ્રસંગના અંતે, કેતન ઠક્કરે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું હતું. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

