Gujarat

શાંતિનગર પાસે દલિત દંપતી પર હુમલો

શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક અનુસૂચિત જાતિના દંપતી પર રાત્રિના સમયે વોકિંગ દરમિયાન ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી, જ્ઞાતિવિશે શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી પ્રગતીબેન હિમાંશુભાઈ શાહએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.16/4/2026 ના રોજ રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તેઓ અને તેમના પતિ હિમાંશુભાઈ શાંતિનગરના નાકા પાસે વોકિંગ ફૂટપાથ પર બેઠા હતા, આ દરમિયાન એક મહિલા અને બે પુરુષો ત્યાં આવ્યા હતા અને “અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો ?” તેમ કહી તકરાર શરૂ કરી હતી,

​જ્યારે દંપતીએ પોતાની જ્ઞાતિ ‘વણકર’ હોવાનું જણાવ્યું, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ “ઢેઢા-ભંગી અહીંથી હાલતા થાઓ” કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા, વાત આટલેથી ન અટકતા આરોપીઓએ હિમાંશુભાઈને ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો, આરોપી પૈકીના એક શખ્સે સિમેન્ટનો બ્લોક મારી દેવાની કોશિશ કરી હતી અને નાક પર ઈજા પહોંચાડી હતી, ​સાથે રહેલી મહિલા આરોપીએ પણ ફરિયાદી પ્રગતીબેન સાથે ઝઘડો કરી, તેમને પછાડી દઈ મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી.

આરોપીઓએ એવી ધમકી પણ આપી હતી કે, “આ દરબારનો એરિયો છે, અહીં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું”, ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઈજાગ્રસ્ત દંપતીની પાછળ આરોપી હોસ્પિટલ પણ પહોંચ્યો હતો અને ત્યાં ફરીથી “હજુ સમજી જજે, નહિતર રહેવું મુશ્કેલ થઈ જશે” તેવી ધમકી આપી હતી, ​મિત્રની મદદથી તપાસ કરતા હુમલો કરનાર શખ્સોના નામ પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા હોવાનું ખુલ્યું હતું, આથી નીલમબાગ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ બી.એન.એસ ની કલમ 115(2), 351(2), 351(3), 54 તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)r, 3(2)(va) હેઠળ ગુનો નોંધાવ્યો હતો.