વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે મેટ્રો સહિત જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ અપીલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કેબિનેટમાં મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તે ધ્યાને લઈને GMRC દ્વારા મેટ્રો સેવાઓને 18 મેથી રાત્રિના 11 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ-પશ્ચિમ કોરિડોર વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે થલતેજ ગામથી ઉપડીને વસ્ત્રાલગામ જશે.
ઉત્તર-દક્ષિણ કોરિડોર: એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.
કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન રાત્રે 7:43 કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 9:20 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 2 સર્વિસ રાત્રે 8.17 અને 9:20 કલાકે કોટેશ્વરથી ઉપડીને મહાત્મા મંદિર સુધી જશે. તે જ રીતે, મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેન રાત્રે 8:09 કલાકે ઊપડતી હતી જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 9 કલાકે ઉપડશે જે મહાત્મા મંદિરથી ઉપડીને કોટેશ્વર થઈને એપીએમસી સુધી જશે.

