જામનગરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત આ કથા તા.25 થી 31 મે, 2026 (અધિક જેઠ સુદ દશમથી અધિક જેઠ પૂર્ણિમા) દરમિયાન ઉમિયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પરિસર, માતૃ કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ, વિજયાબેન જીવનભાઈ ગોવાણી વિદ્યાલય, લાલવાડી મેઈન રોડ ખાતે યોજાશે. કથાકાર જીજ્ઞેશ દાદા વ્યાસાસનેથી દરરોજ બપોરે 3:30 થી સાંજે 7 વાગ્યા સુધી પોતાના મધુર કંઠે કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તા. 28 મે, ગુરુવારે બપોરે 3:30 વાગ્યે નંદ ઉત્સવ અને તા. 30 મે, શનિવારે બપોરે 3:30 વાગ્યે રૂક્ષ્મણિ વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે.
કથાની પૂર્ણાહુતિ તા.31 મેના રોજ બપોરે 12 વાગ્યે થશે. આ કથાનો પ્રારંભ ત્રિમંદિરથી કથા સ્થળ સુધી પોથીયાત્રા યોજીને કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્યનો પ્રસંગ આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર અવકિશોરજી મહારાજના હસ્તે સંપન્ન થયો. ત્યારબાદ સમગ્ર યજમાન પરિવાર દ્વારા જીજ્ઞેશ દાદાનું સ્વાગત-સન્માન કરીને કથાનો શુભારંભ કરાયો હતો.

