રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records) વર્ગ-2ની 138 જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે સરકારના નિર્ણય મુજબ જમીન દફતરની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય તેમજ ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને જિલ્લા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અત્યાર સુધી અનેક જમીન માપણી, રેકોર્ડ સુધારણા અને અન્ય ટેક્નિકલ કામો માટે લોકોને જિલ્લા કચેરીનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે.
પરિપત્ર અનુસાર જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-2ના સંવર્ગની કેટલીક જગ્યાઓના નામાભિધાનમાં સુધારો કરીને તેને જમીન દફતર નિરીક્ષક (Inspector of Land Records) તરીકે કાર્યરત કરવામાં આવી છે. સાથે જ નવી રચાયેલી 138 જગ્યાઓને રાજ્યભરની વિવિધ તાલુકા કચેરીઓમાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે.

