International

પાકિસ્તાની વડાપ્રધાનનું ફરીવાર વિવાદિત નિવેદન!

ભારત સાથે યુદ્ધવિરામમાં “હસ્તક્ષેપ” કરવા બદલ પાકિસ્તાન યુ.એસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો “હંમેશા આભારી રહેશે”: વડાપ્રધાન શહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે, ભારત સાથે યુદ્ધવિરામમાં “હસ્તક્ષેપ” કરવા બદલ અમે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના “હંમેશા આભારી” રહીશું. શરીફે ટ્રમ્પને “શાંતિના માણસ” ગણાવ્યા હતા, અને દાવો કર્યો હતો કે તે તેમનો “સમયસર અને નિર્ણાયક હસ્તક્ષેપ” હતો જેના કારણે ૧૦ મે, ૨૦૨૫ ના રોજ યુદ્ધવિરામ થયો હતો.

“… રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સમયસર અને સૌથી નિર્ણાયક હસ્તક્ષેપ હતો જેના પરિણામે ગયા વર્ષે ૧૦ મેના રોજ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધવિરામ થયો,” શરીફે અમેરિકન સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ઇસ્લામાબાદમાં યુએસ દૂતાવાસ દ્વારા આયોજિત સ્વાગત સમારોહને સંબોધિત કરતા કહ્યું.

શરીફે વધુમાં ઉમેર્યું હતું કે, “દક્ષિણ એશિયામાં શાંતિ પુન:સ્થાપિત કરવા અને લાખો લોકોને બચાવવા બદલ અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હંમેશા આભારી રહીશું. આ સંદર્ભમાં, તેમને હંમેશા શાંતિપ્રિય માણસ તરીકે યાદ કરવામાં આવશે.” શરીફે વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચેના સંબંધોને “સાચા અને ખાસ સંબંધ” તરીકે વર્ણવ્યા હતા.

ભૂતકાળમાં ટ્રમ્પે અનેક પ્રસંગોએ દાવો કર્યો છે કે તેમણે ગયા વર્ષે મે મહિનામાં બંને દેશો વચ્ચેના સંઘર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સુરક્ષિત કરવામાં મદદ કરી હતી. જાેકે, નવી દિલ્હીએ કહ્યું છે કે આ મામલે કોઈ તૃતીય પક્ષ મધ્યસ્થી નથી થઈ અને બંને દેશો વચ્ચે સીધી સમજૂતી થઈ છે.

ગયા વર્ષે એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ૭ મે, ૨૦૨૫ ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.

ટ્રમ્પે શુક્રવારે પણ આઠ યુદ્ધો સમાપ્ત કરવાનો દાવો કર્યો હતો. “મેં આઠ યુદ્ધો સમાપ્ત કર્યા છે, ટૂંક સમયમાં નવમું યુદ્ધ થશે, મને આશા છે કે રશિયા-યુક્રેન સંઘર્ષ પણ સફળ થશે,” તેમણે કહ્યું.

ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓને ભારત દ્વારા નકારવામાં આવ્યા

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ થયા પછી, ભારતે ઇસ્લામાબાદ અને આ બાબતે ટ્રમ્પના દાવાઓનો વિરોધ કર્યો છે. ટ્રમ્પે ઘણી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે, જેને પાકિસ્તાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

ભારતે કોઈપણ તૃતીય પક્ષ હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે પાકિસ્તાનના ડીજીએમઓએ તેમના ભારતીય સમકક્ષ સાથે વાતચીત કર્યા પછી સમજૂતી થઈ હતી.

“તે સમયે જે બન્યું તેનો રેકોર્ડ ખૂબ જ સ્પષ્ટ હતો અને યુદ્ધવિરામ એ એવી બાબત હતી જેની વાટાઘાટો બંને દેશોના ડીજીએમઓ વચ્ચે થઈ હતી…” વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા વર્ષે કહ્યું હતું.

ટ્રમ્પે યુદ્ધવિરામને વેપાર છૂટછાટો અને ટેરિફ સાથે પણ જાેડી હતી, નવી દિલ્હીએ આ દાવાનો વિરોધ કરતા કહ્યું હતું કે મે, ૨૦૨૫ માં લશ્કરી વધારા દરમિયાન અમેરિકા સાથેની કોઈપણ ચર્ચામાં આ મુદ્દો ક્યારેય આવ્યો ન હતો.