કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, રાજસ્થાન અને હરિયાણાની સરકારોએ આજે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અવસરે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજન લાલ શર્મા, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આ કરારથી આજે હરિયાણા અને રાજસ્થાનના લોકો દ્વારા સામનો કરવામાં આવતી લગભગ ત્રણ દાયકા જૂની પાણી સંબંધિત સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. તેમણે જણાવ્યું કે આ કરાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ‘સંવાદ દ્વારા ઉકેલ‘ના મંત્રનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ કરાર દર્શાવે છે કે જાે રાજ્યો સહકારી સંઘવાદની ભાવના સાથે આગળ વધે, તો ત્રણ દાયકાથી ચાલી આવતી સમસ્યા પણ સરળતાથી ઉકેલી શકાય છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજના કરાર હેઠળ, જુલાઈથી ઓક્ટોબર દરમિયાન ત્રણ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા યમુના નહેરમાંથી રાજસ્થાનને અંદાજે ૫૮૦ મિલિયન ક્યુબિક મીટર (સ્ઝ્રસ્) પાણી પૂરું પાડવામાં આવશે. આ ત્રણેય પાઇપલાઇન ૩.૬ મીટરથી વધુનો વ્યાસ ધરાવે છે અને તે રાજસ્થાન અને હરિયાણા બંનેના લોકોને પીવાનું પાણી પૂરું પાડશે. શ્રી શાહે કહ્યું કે આ કરાર બંને રાજ્યો માટે વિન-વિન સિચ્યુએશનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ કરારમાં નાણાકીય જવાબદારીઓ, ખર્ચની વહેંચણી, પાણીની ફાળવણી, પાણી છોડવાના પ્રોટોકોલ અને જાળવણીની વ્યવસ્થાઓને કાળજીપૂર્વક આવરી લેવામાં આવી છે. આ વૈજ્ઞાનિક રીતે વ્યાપક કરારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અને જાળવણી, દેખરેખ પ્રણાલીઓ, પારદર્શિતાના પગલાં અને મજબૂત વિવાદ નિવારણ પદ્ધતિનો પણ સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે હરિયાણા, રાજસ્થાન અને ખાસ કરીને કેન્દ્રીય જળ આયોગ (ઝ્રઉઝ્ર) દ્વારા તૈયાર કરાયેલું આ કરારનું માળખું આગામી ઘણા દાયકાઓ સુધી વિવાદમુક્ત કરાર તરીકે ટકી રહેશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલના અધ્યક્ષપદ હેઠળ માત્ર થોડા જ દિવસોમાં આ ઉકેલ પ્રાપ્ત થયો હતો. આ કરાર બાદ રાજસ્થાનના સીકર, ચુરુ અને ઝુંઝુનુ જિલ્લાઓ તેમજ હરિયાણાના ભિવાની અને ફતેહાબાદ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ કરાર રાજસ્થાન અને હરિયાણામાં, ખાસ કરીને રાજસ્થાનમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં ઘણી મદદ કરશે. જે પાણી અગાઉ વેડફાઈ જતું હતું તે હવે લોકોની તરસ છીપાવશે અને ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે મોટા તળાવોમાં સંગ્રહિત કરવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે હરિયાણા, રાજસ્થાન અને જળ શક્તિ મંત્રાલયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સહકારી સંઘવાદના સંદેશને ખરા અર્થમાં વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યો છે.
આ પરિયોજના પશ્ચિમી યમુના નહેરમાંથી ભૂગર્ભ પાઇપલાઇન પ્રણાલી દ્વારા રાજસ્થાનના ફાળવેલા યમુના જળના હિસ્સાના વહનને સુગમ બનાવવાનો પ્રયાસ કરે છે, જેનાથી રાજ્ય ઉપલા યમુના બેસિનના ઉપયોગ કરી શકાય તેવા સપાટી પરના જળની વહેંચણી અંગેના ૧૯૯૪ના સમજૂતી જ્ઞાપન (સ્ર્ેં) હેઠળ તેને ફાળવવામાં આવેલા પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશે.
આ પરિયોજનાથી રાજસ્થાનના શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં પીવાના પાણીનો વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરીને અને સામાજિક-આર્થિક વિકાસને ટેકો આપીને લાખો લોકોને ફાયદો થવાની અપેક્ષા છે. આ કરાર કેન્દ્ર સરકાર અને સહભાગી રાજ્ય સરકારોના સંકલિત પ્રયાસો દ્વારા પરિયોજનાના સમયસર અમલીકરણ માટેનો પાયો પણ નાખે છે.

