મોરબી જિલ્લામાં વીજપોલ સામે ચાલી રહેલા વળતર આંદોલન વચ્ચે હળવદના વેગડવાવ ગામના ખેડૂતોને મોટી રાહત મળી છે. માર્કેટ રેટ કમિટી (MRC) ની પ્રથમ બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અગાઉ મળતા વળતર કરતાં 3 થી 4 ગણું વધુ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લામાં 3 મહિનાથી વધુ સમયથી વળતર આંદોલન સક્રિય મોરબી જિલ્લામાં છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ખેડૂતો વીજપોલ સામે યોગ્ય વળતરની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. સરકારે 4 જુલાઈ, 2026 ના રોજ પરિપત્ર જાહેર કરી કલેક્ટર, કંપની અને ખેડૂતના વેલ્યુઅર દ્વારા જમીનની બજાર કિંમતના બમણા રૂપિયા વળતર નક્કી કરવા MRC કમિટીની રચના કરી હતી.

વેગડવાવ ગામે પ્રતિનિધિ આપતાં 4 ગણું વળતર મંજૂર સરકારના નવા પરિપત્રનો વિરોધ કરી મોટાભાગના ગામના ખેડૂતો કમિટીમાં જોડાતા ન હતા, પરંતુ વેગડવાવ ગામે પોતાનો પ્રતિનિધિ આપ્યો હતો. જમીનનો વેલ્યુઅર દ્વારા ભાવ નક્કી કરાયા બાદ કલેક્ટર કચેરીમાં મળેલી કમિટીની પ્રથમ બેઠકમાં ખેડૂતોને 3 થી 4 ગણું વધુ વળતર આપવાનું નક્કી કરાયું હતું.
અગાઉ 14.75 લાખ મેળવનારને 58 લાખથી વધુ મળશે કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગાઉ જેને ₹ 14.75 લાખ મળતા હતા તેમને હવે ₹. 58 લાખથી વધુ વળતર મળશે. વેગડવાવના ખેડૂત ભાવેશભાઈ ચાવડાએ પણ અગાઉ કરતાં 3 ગણું વળતર મળ્યાની પુષ્ટિ કરી હતી. કલેક્ટરે અન્ય તમામ ગામના ખેડૂતોને પણ આ કમિટીમાં જોડાઈ લાભ લેવા અપીલ કરી છે.

