Gujarat

બોપલમાં પુત્રએ પિતાને જીવતે જીવ મારી નાખ્યા

અમદાવાદના શેલા ગામની કિંમતી જમીનમાં પોતાના આર્થિક ફાયદા માટે પુત્રએ જીવિત પિતાનો બનાવટી મરણ દાખલો ઊભો કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. નામદાર સાણંદ કોર્ટ દ્વારા ‘બી-સમરી વિથ પ્રોસીક્યુશન’ મંજૂર કરાતાં જ બોપલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

1985નો બોગસ મરણ દાખલો બનાવી રચ્યું કાવતરું બોડકદેવ વિસ્તારમાં રહેતા 72 વર્ષીય નૈમિષ પટેલ નિવૃતીનું જીવન ગુજારે છે. ​શેલા ગામની જમીનના મૂળ ખેડૂત ખાતેદાર રઘુનાથભાઈ ગાંડાભાઈ દેસાઈ હતા. આરોપી ખોડા રઘુનાથભાઈ દેસાઈએ પોતાના આર્થિક લાભ માટે તેના પિતા 15 એપ્રિલ, 1985માં મૃત્યુ પામ્યા ન હોવા છતાં તેમનો મરણનો દાખલો મેળવ્યો હતો.

બોગસ અંગૂઠા અને સહીઓ વડે 1991માં દસ્તાવેજ બનાવ્યો. આ બનાવટી મરણ દાખલાનો ઉપયોગ કરી સાણંદ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નંબરથી ખોટા મૂળ માલિકો અને ખેડૂતો ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં ખોટા ખેડૂતો અને બોગસ અંગૂઠા તેમજ સહીઓ કરીને જમીનની હેરાફેરી આચરવામાં આવી હતી.

ખોટી ફરિયાદ કરી નિર્દોષોને ફસાવવાનો પ્રયાસ આ કૌભાંડમાં દિનેશભાઈ રામભાઈ પટેલ, ખોખર જીવભાઈ આલુભાઈ, વાઘેલા નરેન્દ્રસિંહ અજીતસિંહ, જમીન દલાલ ભાનુ વિજયસિંહ વાઘેલા તેમજ ખોટા ખેડૂત કાળુભાઈ દેસાઈ સામેલ હતા. સાચું છુપાવવા નિર્દોષ લોકો સામે જ ખોટી ફરિયાદ કરી હતી.

પોતાનું કૌભાંડ છુપાવવા માટે આરોપી ખોડા દેસાઈએ 2020માં બોપલ પોલીસ સ્ટેશન ખાતે નૈમિષ પટેલ તથા અન્ય લોકો વિરુદ્ધ સાચા પુરાવા છુપાવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે મૂળ ખેડૂત રઘુનાથભાઈનું 1985માં મૃત્યુ થયું જ નહોતું અને ખોટા મરણ દાખલાના આધારે આ સમગ્ર કાવતરું ઘડાયું હતું.