ગાંધીનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ અને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે દહેગામ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી લોકસભાના સાસંદ શ્રી હસમુખભાઇ પટેલ અને રાજયસભાના સાસંદ શ્રી નરહરિ અમીનની ઉપસ્થિતમાં કરાઇ હતી. આ કાર્યક્રમ થકી આજે ગાંધીનગર જિલ્લાના ૩૬૦ લાભાર્થીઓને રૂપિયા ૪ કરોડથી વધુની રકમની સહાય ચુકવવામાં આવી હતી.
દીપ પ્રાગટય કરીને અમદાવાદ પૂર્વના લોકસભાના સંસદ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાસનને સુશાસનમાં બદલવાનો ઉમદા પ્રયાસ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે. સુશાસન એટલે સમાજનો સર્વાંગી વિકાસ થાય અને સમરસતા આવે. સમાજના ઉત્થાન કરવા શિક્ષણએ પાયો છે. એટલે જ આ સરકારના શાસનમાં કન્યા કેળવણીને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. સમાજ શિક્ષિત બનશે તો અંધશ્રધ્ધા સાથે સાથે સમાજનો ઉત્થાન પણ થશે. દીકરીઓમાં શિક્ષણની માત્રા વધે તે માટે સરકાર દ્વારા અનેક શૈક્ષણિક સહાય અમલી બનાવી છે. તેમજ આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
રાજયસભાના સાસંદ શ્રી નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે, આગાઉ અનેક સરકારોએ દેશ અને રાજયમાં શાસન કર્યું છે. પણ સમાજના સર્વાંગી વિકાસની ચિંતા કરી નથી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી સમાજના સર્વાંગી વિકાસ થાય અને ખેડૂતો, અતિપછાત નાગરિકો અને ગરીબો સન્માનભેર જીવન જેવી શકે તેની ચિંતા અને વાતાવરણ ઉભું કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમના વિકાસ માટે અને જીવન ધોરણ ઉંચું લાવવા માટે શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવા પર તેમણે ભાર મુક્યો હતો. જેના થકી આજે દરેક સમાજ દીકરા- દીકરી સરકારની સહાય યોજના થકી આજે વિદેશ અભ્યાસ અર્થે જઇ રહ્યા છે તેમજ ઉચ્ચ અભ્યાસ પણ સરળતા સહાય મેળવી કરી રહ્યા છે. દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સાયકલ પણ આપવામાં આવી રહી છે.
દહેગામ ખાતે યોજાયેલ સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાની વિકસિતી જાતિની કચેરી દ્વારા ૨૭૨ લાભાર્થીઓને રૂપિયા ૩૫૪ લાખથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવી છે. જેમાં વિદેશમાં પાયલોટ તાલીમ માટે ૧ લાભાર્થીને રૂપિયા ૨૫ લાખ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ૩ વિધાર્થીઓને રૂ. ૧૯ લાખ, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ૫૫ લાભાર્થીને રૂપિયા ૨૨ લાખ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા ૫૦ લાભાર્થીઓને ૬૭.૭૦ લાખ, અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ દ્વારા ૭ લાભાર્થીઓને ૧૨ લાખ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા ૩૨ લાભાર્થીને રૂપિયા ૪૧ લાખ, ગુજરાત વિચરતિ અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ દ્વારા ૭ લાભાર્થીઓને ૭.૨૫ લાખ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા ૧૫૫ લાભાર્થીઓને રૂપિયા ૧૩૦.૫૦ લાખ અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ૨ લાભાર્થીને રૂપિયા ૩૦ લાખની સહાયની ચુકવણી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ૩૪ લાભાર્થીઓને રૂપિયા ૫૪.૭૨ લાખની સહાય આપવામાં આવી છે. જેમાં વિદેશ અભ્યાસ અર્થે ૧ લાભાર્થીને રૂપિયા ૧૫ લાખની લોન સહાય, આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ૩ લાભાર્થીઓને રૂપિયા ૩ લાખ, કુંવેરબાઇનું મામેરું સહાય યોજના અંતર્ગત ૩ લાભાર્થીને ૦.૩૬ લાખ, ર્ડા. આંબેડકર આવાસ યોજના અંતર્ગત ૧૧ લાભાર્થીઓને ૬.૬૦ લાખ, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા અલગ અલગ ઘિરાણ યોજના અંતર્ગત ૭ લાભાર્થીઓને ૨૪.૭૬ લાખનું ઘિરાણ અને ડિઝલ મશીન સહાય યોજના અંતર્ગત ૭ લાભાર્થીઓને ૩.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. ર્ડા. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા ૨ લાભાર્થીઓને રૂપિયા ૧.૫૦ લાખનું ધિરાણ કરવામાં આવ્યું છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા ગુજરાત મેન્ટલ ડેસેબીલીટી પેન્શન સ્કીમ અંતર્ગત ૨૦ લાભાર્થીઓને માસિક ૦.૨૦ લાખની સહાય, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ૪ લાભાર્થીઓને રૂપિયા ૨ લાખ, પાલક માતાપિતા યોજના અંતર્ગત ૧૫ લાભાર્થીઓને ૦.૪૫ લાખ (માસિક) સહાય અને દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૫ લાભાર્થીઓને રૂપિયા ૦.૮૩ લાખ મળી કુલ ૫૪ લાભાર્થીઓને રૂપિયા ૩.૪૮ લાખથી સહાય ચુકવવામાં આવી છે.
આ સમારંભમાં ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ સહિત આમંત્રિત મહાનુભાવો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


