Gujarat

સુરતમાં કોરોના કેસ વધતા શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા

સુરત
સુરત રેલવે સ્ટેશન પર ઘણા શ્રમિકો એવા છે કે, લોકડાઉનના ભયથી તેઓ પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. તો કેટલાક શ્રમિકોને મિલમાલિકો ૧ જાન્યુઆરીથી નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો. કોરોનાના કેસો વધતા શહેરમાં અનેક મિલમાલિકો શ્રમિકોને નોકરી પર આવવાની ના પાડી રહ્યા છે. આ અને લોકડાઉનના ભયથી શ્રમિકો પલાયન કરવા પર મજબૂર થઈ ગયા છે. હાલમાં જ મુંબઈ રેલવે સ્ટેશન પર પલાયન કરી રહેલા શ્રમિકોની દયનીય સ્થિતિ જાેવા મળી હતી. સતત વધી રહેલા કોરોના કેસ અને ત્રીજી લહેરમાં લોકડાઉનના કારણે મુંબઈ બાદ હવે સુરતમાં પણ પલાયન શરૂ થઈ ગયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે ઉત્તરપ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ખચોખચ શ્રમિકો ભરાઈ રહ્યા છે. તો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોથી શ્રમિકો રોજગારી માટે સુરત આવે છે. ત્યારે શહેરમાં કોરોનાના કેસ વધતા મિલમાલિકો શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યા છે. તેવામાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. તો આ તરફ રાજ્ય સરકારના નાણા મંત્રી કનુ ભાઈ દેસાઈએ અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે કોઈ લોકડાઉન લગાડવામાં નહીં આવે. તેમ છતાં સુરતથી શ્રમિકોના પલાયનની શરૂઆત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના અન્ય રાજ્યોથી લાખોની સંખ્યામાં ગુજરાતના સુરત શહેરમાં શ્રમિકો ટેકસટાઈલમાં મજૂરી કરવા આવે છે.અમદાવાદ પછી સૌથી વધુ કોરોનાના કેસ સુરત શહેરમાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ સરકારે રાજ્યમાં કેટલાક નિયંત્રણો મૂક્યા છે. એક તરફ કોરોનાના કેસ અને બીજી તરફ નિયંત્રણોના કારણે શ્રમિકોમાં લોકડાઉનનો ફફડાટ ફેલાયો છે. તેવામાં સુરતમાં રહેતા પરપ્રાન્તીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સુરત રેલવે સ્ટેશન પર શ્રમિકો પોતાના વતન પરત ફરવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. કોરોનાની પહેલી અને બીજી લહેર પછી જેમ શ્રમિકો પોતાના વતને પરત ફરવા મજબૂર બન્યા હતા. તે પ્રકારની સ્થિતિ જાેવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *