ગિરગઢડા
ભરત ગંગદેવ
ગ્લબોલ વોર્મિંગ સમગ્ર વિશ્વ સામે એક પડકાર બન્યું છે. ત્યારે પૃથ્વી પરનું તાપમાન ઘટાડવા માટે ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઈ-વિહિકલ ખરીદવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિના પગલે લોકો ઈલેક્ટ્રોનિક વિહિકલ ખરીદવા તરફ વળ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વર્ષ-૨૦૨૧માં ૩૦૮ જેટલા ઈ-વિહિકલ લોકોએ ખરીદ્યા છે. જેમાંથી ૧૨૧ જેટલા ઈલેક્ટ્રીક વિહિકલ ખરીદદારોને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આપતી સબસીડીનો લાભ મળ્યો છે.
ગીર સોમનાથના એ.આર.ટી. ઓ. યુ.એ. કારેલીયાએ કહે છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારની ઈ-વહિકલ માટેની પ્રોત્સાહિક નીતિના પગલે ઈલેક્ટ્રોનિક વિહિકલનો વ્યાપ વધી રહ્યો છે. પર્યાવરણમાં કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડીને પ્રદૂષણરહિત વાહનોને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારની ફેમ-૨ સબસીડી ઉપરાંત રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વિહિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત ઇલેક્ટ્રિક વિહિકલ ખરીદવા પર લોકોને માતબર સબસીડી આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર પ્રતિ કિલોવોટ ૧૦,૦૦૦ ની સબસીડી આપે છે.
આ ઈ-વિહિકલની ખરીદીમાં મહત્તમ સબસીડીની મર્યાદા નક્કિ કરવામાં આવી છે. જે મુજબ ટુ, થ્રી અને ફોર વ્હિલર માટે અનુક્રમ મહત્તમ ૨૦,૦૦૦, પ૦,૦૦૦ અને ૧.૫૦ લાખની સબસીડી મળવા પાત્ર છે. આ માટે વાહન ઓનલાઈન અરજી કરવાની રહે છે. જેની મંજૂર મળ્યા બાદ વાહન ખરીદનારના સીધી જ બેન્ક ખાતામાં જમાં કરવામાં આવે છે.
કેન્દ્ર-રાજ્ય સરકારની આ આકર્ષક સબસીડીને કારણે સાપેક્ષમાં નાના ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં ઇલેક્ટ્રિક વિહિકલની નોંધપાત્ર ખરીદી થવા પામી છે. જિલ્લામાં ૩૦૮ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાંના ૧૯૮ વાહનોમાં સબસિડીનો લાભ મેળવવા માટે અરજી આવી છે. જેમાં ૧૨૧ જેટલીઓ ગ્રાહ્ય રાખી વાહન ખરીદનારના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે. બાકી અન્ય અરજીઓની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી સત્વરે નિકાલ કરવામાં આવશે. તેમ એ.આર.ટી.ઓ. કારેલીયાએ જણાવ્યું હતું.


