નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવથી ‘સ્વર્ણિમ ભારત તરફ’ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમને ‘આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ. તેમને કહ્યું બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફ’ કાર્યક્રમથી શરૂઆત થઈ રહી છે. આજે અમે એક એવી વ્યવસ્થા બનાવી રહ્યા છે, જેમાં ભેદભાવની કોઈ જગ્યા ના હોય, એક એવો સમાજ બનાવી રહ્યા છે, જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મક્કમપણે ઊભો રહે, આપણે એવા ભારતના ઉદભવના સાક્ષી છીએ, જેની વિચારસરણી અને અભિગમ નવો છે અને જેના ર્નિણય પ્રગતિશીલ છે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ભારત માટે ભાવના પણ છે, સાધના પણ છે. જેમાં દેશ માટે પ્રેરણા પણ છે, બ્રહ્માકુમારીઓનો પ્રયાસ પણ છે. જ્યારે વિશ્વ અંધકારના સૌથી ઊંડા તબક્કામાં હતું, મહિલાઓને લઈ જૂની વિચારસરણીમાં ફસાઈ ગયું હતું, ત્યાર ભારત માતૃશક્તિની પૂજા, દેવીના રૂપમાં કરતું હતું. આપણે ત્યાં ગાર્ગી, મૈત્રેયી, અનુસૂયા, અરુંધતી અને મદાલસા જેવા વિદ્વાનો સમાજને જ્ઞાન આપતા. મુશ્કેલીભર્યા મધ્યકાલીન સમયમાં પણ આ દેશમાં પન્નાધાય અને મીરાબાઈ જેવી મહાન સ્ત્રીઓ હતી અને અમૃત મહોત્સવમાં દેશ સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યો છે, તેમાં પણ ઘણી મહિલાઓએ પોતાનું બલિદાન આપ્યું છે. કિત્તુરની રાણી ચેનમ્મા, મતંગિનિ હાજરા, રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના ઝલકારી બાઈથી લઈ સામાજીક ક્ષેત્રમાં અહલ્યાબાઈ હોલ્કર અને સાવિત્રીબાઈ ફૂલે સુધી આ દેવીઓએ ભારતની ઓળખ બનાવી રાખી છે.


