વલસાડ
કોરોનાની ત્રીજી લહેરમાં વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ બીજી લહેર દરમિયાન નોંધાયેલા કેસો કરતા સ્પષ્ટપણે વધુ જાેવા મળી રહી છે.કોરોના સામે સુરક્ષા કવચ ગણાતી વેક્સિનના સિંગલ અને ડબલ ડોઝ લેનારા વ્યક્તિઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે.જાે કે વેક્સિનના કારણે જ ગંભીર અસરથી લોકોને સુરક્ષા મળી છે. વલસાડ તાલુકામાં પ્રતિ દિન સામે આવતાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઉંચી રહી છે.શુક્રવારે નોંધાયેલા ૧૭૮ પોઝિટિવ કેસ જાેતાં પ્રતિ કલાક ૭થી વધુ લોકો સંક્રમણમાં સપડાયા હતા.આ તાલુકામાં ૬૦ ટકા લોકો બહાર ગામ નોકરી ધંધા માટે આવજા કરે છે.બહાર ગામ જતાં કોવિડ-૧૯ના નિયમોનું ચૂસ્ત પાલન કરવામાં થાપ ખાઇ જતાં તેઓ સંક્રમિત થતાં કોમોર્બિડિટી ધરાવતા પરિવારના સભ્યો પણ સંક્રમિત થવાના પગલે વલસાડ તાલુકામાં સંક્રમણનો દર ઉંચો રહ્યો છે.વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર પ્રતિદિન વધી રહી છે. જાન્યુઆરીથી કોરોના સંક્રમણની જારી રહેલી કૂચ હજીય યથાવત રહી છે. ગુરૂવારે ઓલટાઇમ હાઇ ૪૪૬ કેસ નોંધાયા બાદ શુક્રવારે ત્રિપલ સદી સાથે ૪૪૬ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેની રફતાર જાેતાં દર ૧ કલાકે ૧૫થી વધુ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જેને લઇ સંક્રમણનો ડર લોકોને સતાવી રહ્યો છે. આ સાથે સાજા થનાર દર્દીની સંખ્યા પણ દર ૧ કલાકે ૭થી વધુની રહી છે.જેના કારણે કોરોનાથી સાજા થવાની ગતિ પણ નોંધપાત્ર રહેવા પામી છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની મેરેથોન બેઠકોમાં કલેકટર ક્ષિપ્રા અગ્રે અને ડીડીઓ મનિષ ગુરવાની, સીડીએચઓ ડો.અનિલ પટેલ, એપેડેમિક ઓફિસર ડો.મનોજ પટેલ સાથે આરોગ્ય વિભાગના તમામ કેટેગરીના કર્મચારીઓ જિલ્લામાં ગામે ગામ સંજીવની આરોગ્ય રથોના માધ્યમથી લોકોના ઘરે પહોંચી ટેસ્ટિંગ,નિદાનની કામગીરીને વધુ ઝડપી બનાવી છે. કલેકટર અને ડીડીઓ સ્વંય કોરોના સંક્રમિત એરિયાની સમીક્ષા કરી આરોગ્ય વિભાગને સતત સતર્કતા વાપરી ટ્રેસિંગ,ટ્રેકિંગ અને વેકસીનેશનની માટે ગંભીરતા દાખવવા જણાવી રહ્યા છે.


