બહુચરાજી
માનવતા મરી નથી તેનો તાજાે દાખલા સમાન બહુચરાજી વિસ્તારના લોકો માટે ડોડીવાડા ગામનો પ્રવીણજી નાનજીજી ઠાકોર નામનો ૪૦ વર્ષીય યુવાન હરતી ફરતી બ્લડ બેન્કથી ઓછો નથી. દિવસ હોય કે રાત, કોઇને લોહીની જરૂર હોવાની ખબર પડે તો વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ચેનથી બેસે નહીં. કોરોનાની બીજી લહેરથી લઇ અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ બોટલ લોહીની જરૂરમંદો માટે વ્યવસ્થા કરાવી ચૂક્યા છે. તેમણે લોકસેવાની આ સફર અંગે વાત કરતાં કહ્યું કે, એક વખત હરિપુરા ગામે મજૂરીકામે આવેલા બનાસકાંઠાના રહીશને અચાનક રાત્રે લોહીની જરૂર પડતાં તેના બોર માલિકે મારો સંપર્ક કરેલો અને મેં લોહીની વ્યવસ્થા કરી આપી. તે સમયે કરવી પડેલી દોડાદોડ પરથી લાગ્યું કે, જાે ખરેખર સેવાનું કામ કરવું હોય તો તે આ જ છે. આના માટે ફેસબુક ઉપર એક પેજ બનાવી મારો મોબાઇલ નંબર લખ્યો. કોરોનાની બીજી લહેર સમયે લોકોના સામેથી ફોન આવવા લાગ્યા. મેં રક્તદાન કરી શકે તેવા બહુચરાજી, પાટણ, હારિજ, મહેસાણા, બનાસકાંઠા વિસ્તારના ૧૦૦થી વધુ યુવાનોનું ગૃપ બનાવ્યું, જેમનો મોબાઇલ નંબર અને છેલ્લે ક્યારે લોહી આપ્યું તેની વિગત હાથવગી રાખું છું. કોઇને પાટણમાં જરૂર પડે તો એસ.કે. બ્લડબેન્ક અને મહેસાણામાં જરૂર પડે તો જેસીસ બ્લડ બેન્કમાં મોકલી લોહીની વ્યવસ્થા કરાવીએ છીએ. બંને બ્લડ બેન્કનો ખૂબ સારો સહયોગ મળતાં આ કાર્ય અટક્યા વિના ચાલે છે. બ્લડ બેન્કો માટે રક્તદાન કેમ્પ યોજી અમે પણ સહયોગ કરીએ છીએ. પ્રવીણજી ઠાકોરની આ સેવાને બિરદાવતાં બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યું કે, મેં પણ ૧૦-૧૫ વખત લોહી માટે તેમનો સંપર્ક કર્યો છે. તેઓ એકપણ પૈસો લીધા વિના આ સેવા કરી રહ્યા છે. ઇમરજન્સીમાં લોહીની જરૂર પડે ત્યારે મહેસાણા અને પાટણ ૫૦ કિમી થાય છે, ત્યારે આ યુવાનની સેવા ખરેખર સાચી સમાજસેવા છે.


