નવીદિલ્હી
ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ૧૭ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જાેકે, વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણસિંહ અને રાજ્યના પ્રધાન સ્વાતિસિંહનું નામ યાદીમાં સામેલ નથી. જ્યારે પાર્ટી નેતા બ્રિજેશ પાઠકની બેઠક બદલવામાં આવી છે. લખનઉની તમામ નવ બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. આશુતોષ શુક્લાને ઉન્નાવના ભાગવતનગરથી ઉતારાયા છે. હાલ અહીંથી સ્પીકર હૃદય નારાયણસિંહ પાર્ટીના ધારાસભ્ય છે. જ્યારે યુપી પોલીસમાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટમાં ડેપ્યુટેશન બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા રાજરાજેશ્વરસિંહને સરોજિની નગરથી ટિકિટ અપાઈ છે. હાલ આ બેઠક પરથી રાજ્ય સરકારના પ્રધાન સ્વાતિસિંહ ધારાસભ્ય છે. લખનઉ સેન્ટ્રલ બેઠકના ઉમેદવાર બ્રિજેશ પાઠકને લખનઉ કેન્ટોનમેન્ટ સીટ પર ખસેડાયા છે. તેથી હવે આ બેઠક પરથી મુલાયમસિંહ યાદવના પુત્રવધૂ અપર્ણા યાદવને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. રાજ્ય સરકારના પ્રધાન આશુતોષ ટંડનને લખનઉ પૂર્વ સીટ પરથી ટિકિટ અપાઈ છે.