જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે
ગીર સોમનાથ જિલ્લામાં ૧૦.૦૨ લાખ લોકોના પ્રથમ અને ૯.૩૬ લાખ લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ
ગિરગઢડા
ભરત ગંગદેવ.
કોરોના રસીકરણ મહાઅભિયાન હેઠળ ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ૧૦ કરોડથી વધુ ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેની ગીર સોમનાથ જિલ્લાના વડા મથક ખાતેની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રંગબેરંગી બલૂન છોડીને ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યમાં રસીકરણમાં ગીર સોમનાથ જિલ્લો પણ અગ્રસર રહ્યો છે. જિલ્લામાં ૧૦.૦૨ લાખ લોકોને પ્રથમ અને ૯.૩૬ લાખ લોકોને બીજા ડોઝનુ રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૧૯,૫૭૬ જેટલા નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. તેમજ ૧૫-૧૭ વર્ષના ૮૧,૧૬૮ તરૂણોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સાથે જ ૧૫૮૦૨ તરૂણોને રસીનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ જણાવ્યું કે, રાજ્યમાં ૧૦ કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉજવણી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં મોટાપાયે વેક્સિનેશનના કારણે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કાબૂમાં જોવા મળી છે. સાથે જ કોરોનાની ત્રીજી લહેરના સંક્રમણમાં ખૂબ ઘટાડો નોંધાયો છે. આમ, તંત્રના સમગ્રલક્ષી પ્રયાસોના લીધે કોરોનાની ત્રીજી લહેરમાં જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે શ્રી ખતાલેએ આરોગ્ય તંત્રના કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ. ભાયા સહિતના ડોક્ટર્સ અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

