મુંબઈ
નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) થકી જીએસટી ચોરી કરવા સંબંધે મહારાષ્ટ્રના જીએસટી વિભાગે સુરત ખાતેના દંપતીની ધરપકડ કરી છે. આરોપીઓએ રૂ. ૪૮૨ કરોડનાં બોગસ ઈન્વોઈસીસ બનાવીને આશરે રૂ. ૧૧૧ કરોડની જીએસટી ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીમાં મેસર્સ ડોલ્ફિન ઓ રસીઝનાં પ્રોપ્રાઈટરો પ્રિમા મ્હાત્રે અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. બંને છેલ્લા છ મહિનાથી જીએસટી અધિકારીઓની પકડમં આવતા નહોતા. જાેકે મુંબઈ પોલીસ અને સુરત પોલીસની મદદથી ૨ દિવસ સુધી ચાલેલા સુનિયોજિત ઓપરેશન પછી દંપતીની તેમના લક્ઝુરિયસ ફ્લેટમાંથી આખરે ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વસનીય માહિતીને આધારે ઓગસ્ટ ૨૦૨૧ આ કંપનીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. જાેકે પ્રથમ દિવસથી જ તબીબી કારણો આપીને આરોપીઓ કાર્યવાહીમાં અવરોધ પેદા કરતા હતા. આમ છતાં વિભાગે વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું, જેમાં દંપતીએ આશરે રૂ. ૧૧૧ કરોડની એકત્રિત કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ અલગ અલગ અસંબંધિત વ્યક્તિઓને નામે વિવિધ બોગસ કંપનીઓ વહેતી કરી હતી. આશરે રૂ. ૪૮૨ કરોડનાં બોગસ ઈન્વોઈસીસ સ્વીકાર્યાં હતાં અને રૂ. ૧૧૧ કરોડની આઈટીસીનો ખોટી રીતે લાભ લીધો હતો. આ આખું ઓપરેશન જાેઈન્ટ કમિશનર (ઈન્વેસ્ટિગેશન-બી) સંપદા મહેતા, ડેપ્યુટી કમિશનર વિનોદ દેસાઈ, આસિસ્ટન્ટ કમિશનર ઋષીકેશ વાઘ, સ્ટેટ ટેક્સ ઓફિસર સ્વાતિ શિંદે અને ટીમના સમન્વયમાં પાર પાડવામાં આવ્યું હતું. મુંબઈમાં લાવવામાં આવ્યા હતા અને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાતાં ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર જીએસટી વિભાગ દ્વારા પહેલી જ વાર આ રીતે જીએસટી ચોરી સંબંધે મહારાષ્ટ્રની બહાર કોઈની ધરપકડ કરી છે.


