અમદાવાદ
૧૫ વર્ષની દીકરીને શોધવા હાઈકોર્ટમાં માતાપિતાએ કરેલી હેબિયસ કોર્પસ પાછી ખેંચાતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. આ સાથે જસ્ટિસ સોનિયા ગોકાણીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, દીકરીએ ભલે લગ્ન કરી લીધા હોય પણ તે જ્યારે ગુમ થઇ ત્યારે સગીરા હોવાથી તેને ભગાડી જનાર સામે ગુનો મટી જતો નથી. દીકરી અત્યારે ભલે પુખ્ત વયની છે, પરંતુ જ્યારે ભાગી ગઈ ત્યારે તેની ઉંમર લગ્ન કરવાને લાયક ન હતી. આપણે આવો સમાજ નથી બનાવવાનો. ખંડપીઠે પોલીસ તપાસ પાછી ખેંચવાનો ઇનકાર કરીને એવી ટકોર કરી હતી કે, તમારે દીકરીની જરૂર ન હોય તો કાંઈ નહી અમારે ગુનેગારની જરૂર છે. પોલીસ તેની કાર્યવાહી કરશે. અમદાવાદમાં રહેતી ૧૫ વર્ષની દીકરી ૩ વર્ષ પહેલા ગુમ થઈ હતી તેને શોધવા માતાપિતાએ હેબિયસ કોર્પસ કરી હતી. ત્રણ વર્ષ પછી અચાનક માતા-પિતાના ઘર બહાર દીકરીએ લગ્ન કરી લીધા હોવાના પેપર નાખી દીધા હતા. દીકરીના લગ્નના સમાચાર જાણીને માતા-પિતાએ હાઈકોર્ટમાંથી હેબિઅસ કોર્પસ પાછી ખેંચવા દાદ માગી હતી.


