નવીદિલ્હી
ભગવંત માને પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. દરેક રાજકીય પાર્ટીઓ ભગવંત માનને શુભેચ્છા આપી રહી છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવંત માનને શુભેચ્છા આપી છે. કહ્યુ કે, પંજાબના વિકાસ માટે મળીને કામ કરીશું. આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. પોતાના ટિ્વટર પર તેમણે લખ્યુ કે, પંજાબના મુખ્યમંત્રી બનવા પર ભગવંત માનને ખુબ ખુબ શુભેચ્છાઓ. કેજરીવાલે લખ્યુ કે, તેમને વિશ્વાસ છે કે માનના નેતૃત્વમાં પંજાબમાં ખુશી આવશે. ખુબ પ્રગતિ થશે. લોકોની સમસ્યાઓનું સમાધાન થશે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરતા લખ્યુ કે, ભગવાન તમારી સાથે છે. પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન જીને શપથ સમારોહ માટે અઢળક શુભેચ્છાઓ. આશા છે કે તેમના કુશલ નેતૃત્વમાં પંજાબમાં પ્રગતિ, ભાઈચારો અને નવી દ્રષ્ટિનો પાક ખુબ લહેરાશે. આજે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આમ આદમી પાર્ટીને પંજાબ ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યો છે. પાર્ટીએ ૧૧૭ વિધાનસભા સીટમાંથી ૯૨ પર જીત મેળવી છે. આજે ભગવંત માને જ શપથ લીધા છે. તેમના મંત્રી ૧૯ માર્ચે શપથ લઈ શકે છે.


