નવીદિલ્હી
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેણે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ૨૨,૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનું “વિશાળ કાર્ય” પૂર્ણ કર્યું છે. તે પછી કેન્દ્રએ સોમવારે તેનાથી સંબંધિત બે કેસ બંધ કરી દીધા છે. ચીફ જસ્ટિસ એન.વી. રમના અને જસ્ટિસ કૃષ્ણા મુરારીની બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલની રજૂઆતોની નોંધ લીધી હતી કે કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા ઉપરાંત યુદ્ધના કારણે તેમના અભ્યાસ પર થયેલી અસર બાબતે પણ વિચાર કરવો જાેઈએ. સુનાવણીની શરૂઆતમાં, બેંચે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પરત આવી ગયા હોવાથી, આ બાબતમાં કંઈ બચ્યું નથી.” પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ પણ જે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા તેમના શિક્ષણ ચાલુ રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વેણુગોપાલે કહ્યું હતું કે, સરકારે ઘણું સારું કામ કર્યું છે અને ૨૨,૫૦૦ વિદ્યાર્થીઓને પાછા લાવવામાં આવ્યા છે. સરકારને ર્નિણય લેવા દો. બેન્ચે એટર્ની જનરલની દલીલો પર વિચાર કર્યો અને કેસ બંધ કરવાનો ર્નિણય લીધો. ૪ માર્ચે સર્વોચ્ચ અદાલતે એ રજૂઆતોની નોંધ લીધી હતી કે સરકારે અત્યાર સુધીમાં યુક્રેનમાંથી ૧૭,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. તે તિવારી અને બેંગલુરુની રહેવાસી ફાતિમા અહાનાની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી દરમિયાન યુક્રેન મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું હતું. સંસદને માહિતી આપતા વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આકરા પડકારો છતાં સરકારે યુક્રેનમાં ફસાયેલા ૨૨,૫૦૦ લોકોને બહાર કાઢ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ, ભારતે બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા પડોશી દેશોના કેટલાક નાગરિકોને યુક્રેનમાંથી પણ બહાર કાઢ્યા હતા. આ દરમિયાન ભારતીયોને બસ અને ટ્રેન મારફતે યુક્રેનની પશ્ચિમી સરહદો પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વિમાન દ્વારા ભારત મોકલવામાં આવ્યા હતા. યુદ્ધગ્રસ્ત યુક્રેનના વિવિધ શહેરોમાંથી તેના નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ ભારતે યુક્રેન, રશિયા અને રેડ ક્રોસનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રીએ ટિ્વટર પરની તેમની પોસ્ટમાં ખાસ કરીને યુક્રેનના ઉત્તર પૂર્વીય શહેર સુમીમાંથી ભારતીય વિદ્યાર્થીઓના સ્થળાંતરનો ઉલ્લેખ કર્યો હતો જે “અત્યંત પડકારજનક” હતું.


