વોશિંગ્ટન
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે. રશિયા હવે દેશના પૂર્વ ભાગમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના લઈને ક્રેમલિને કહ્યું છે કે તેનું લક્ષ્ય ડોનબાસ ભાષા ઔદ્યોગિક વિસ્તારને “મુક્ત” કરવાનું છે. વધુમાં તેમણે કહ્યું, ‘અમારી જમીનનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણે શેના માટે લડી રહ્યા છીએ. અમે જીતવા માટે બધું જ કરીશું.’તમને જણાવી દઈએ કે, યુક્રેનિયન સત્તાવાળાઓએ ડોનબાસમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે કહ્યું, લોકો રશિયન હુમલા માટે સંવેદનશીલ બની શકે છે. મેયર બોઇચેન્કોએ બુધવારે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા લોકોમાં ૨૧૦ બાળકોનો સમાવેશ થાય છે. તેમના જણાવ્યા અનુસાર રશિયન દળોએ હોસ્પિટલો પર બોમ્બમારો કર્યો હતો,જેમાં ૫૦ લોકોના મોત થયા. તેમણે કહ્યું કે આ શહેરનું ૯૦ ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર રશિયન હુમલામાં નાશ પામ્યું છે. એઝોવ સમુદ્ર પરના વ્યૂહાત્મક બંદર પર હુમલાથી ખોરાક, પાણી, બળતણ અને દવાઓનો પુરવઠો બંધ થઈ ગયો છે. બ્રિટિશ સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે મારીયુપોલમાં હજુ પણ ૧૬૦,૦૦૦ લોકો ફસાયેલા છે. આ શહેરની વસ્તી ૪.૩ લાખ હતી. બીજી તરફ માનવતાવાદી રાહત કાફલો શુક્રવારથી શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યુ છે.યુક્રેનના મારીયુપોલના મેયરે કહ્યું છે કે, રશિયન હુમલા દરમિયાન શહેરમાં ૫,૦૦૦ થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. બીજી તરફ યુક્રેન હવે કિવની બહારના વિસ્તારમાં રશિયન અત્યાચારના પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓએ ક્રેમલિન સામે યુદ્ધ અપરાધોનો આરોપ લગાવીને નવા પ્રતિબંધો લાદવાની દિશામાં આગળ વધી રહ્યા છે. એક યુએસ સંરક્ષણ અધિકારીએ દાવો કર્યો હતો કે, રશિયાએ ઉત્તરમાં કિવ અને ચેર્નિહિવ પ્રદેશોમાંથી લગભગ ૨૪,૦૦૦ કે તેથી વધુ સૈનિકોને બોલાવ્યા છે અને તેમને બેલારુસ મોકલી રહ્યા છે.


