અમરેલી
અમરેલીના રાજુલા તાલુકાના ડુંગરમા રહેતા એક મહિલાની કટલેરીની દુકાને કારમા આવેલા બે શખ્સોએ અમે હોલસેલના વેપારી છીએ અને સેલ નાખ્યા હતો હવે અલ્હાબાદ પરત ફરવુ છે જેથી માલ વેચી નાખવો છે કહી ઓછો માલ આપી મહિલા સાથે ૩૯૨૫૦ની છેતરપીંડી આચરી નાસી ગયા હતા. મહિલા સાથે છેતરપીંડીની આ ઘટના રાજુલાના ડુંગરમા બની હતી. અહી રહેતા નિતાબેન નિતીનભાઇ સોંદરવા (ઉ.વ.૩૯) નામના મહિલાએ ડુંગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અમારા ઘરમા જ કટલેરીની દુકાન છે. બે શખ્સો કાર નંબર જીજે ૧૧ એબી ૧૩૪૮ લઇને તેની દુકાને આવ્યા હતા. અમે હોલસેલના વેપારી છીએ અને અલ્હાબાદથી આવીએ છીએ. આ શખ્સોએ એવુ જણાવ્યું હતુ કે અમે કટલેરીનો સેલ નાખ્યો હતો અને સામાન વધ્યો છે હવે અલ્હાબાદ જવાનુ છે જેથી સસ્તામા સામાન વેચી દેવાનો છે. જેથી બંને શખ્સોએ સામાન બતાવ્યો હતો અને એક વસ્તુના રૂપિયા ૫૦ લેખે કુલ ૧૦૨૦ વસ્તુઓ લેવાનુ નક્કી કર્યુ હતુ. અને રૂપિયા ૫૦ હજાર આપવાનુ નક્કી કરાયુ હતુ. ૪૭ હજાર રોકડા તેમજ ૩ હજાર ઓનલાઇન પેમેન્ટ કરવાનુ નક્કી કરાયુ હતુ. આ શખ્સો ૪૭ હજાર લઇને જતા રહ્યાં હતા. જાે કે બીજા દિવસે કટલેરીનો સામાન ખોલતા તેમા સામાન માત્ર રૂપિયા ૭૭૫૦નો જ નીકળ્યો હતો. જેથી આ શખ્સો ૩૯૨૫૦ની છેતરપીંડી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ પી.બી.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
