નવીદિલ્હી
શાળાના એક ટીચરના મગજમાં એવો આઈડિયા આવ્યો અને તેણે તે અમલમાં મૂક્યો અને પછી જે થયું તે જાણીને મગજ ચક્કર ખાઈ જશે. વાત જાણે એમ છે કે શિક્ષકને થયું કે ફ્રેશ વોટરના સતત ફ્લોથી પૂલને કોવિડથી સુરક્ષિત રાખી શકાય છે. આમ વિચારીને તેણે પૂલનો નળ જૂનના અંતથી લઈને સપ્ટેમ્બરની શરૂઆત સુધી ખુલ્લો રાખી દીધો. હરકતનું પરિણામ એ આવ્યું કે લગભગ બે મહિનામાં જ ૪૦૦૦ ટન પાણી બરબાદ થઈ ગયું. શાળાના આ શિક્ષકને પૂલના મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ શિક્ષકની બેદરકારીના કારણે શાળાને ખુબ નુકસાન ઝેલવું પડ્યું. પૂલના પાણીની ક્વોલિટી ક્લોરિન અને ફિલ્ટરિંગ મશીન્સ જાળવી રાખે છે. પરંતુ શાળાના શિક્ષકે ગેરસમજના કારણે વિચારી લીધુ કે ફ્રેશ પાણી પૂલમાં આવતું રહેશે તો કોવિડથી બચી શકાશે. બસ આમ વિચારીને જ તેણે પૂલનો નળ ખુલ્લો જ રાખી દીધો. સ્ટાફના કેટલાક લોકોએ જ્યારે વહેતા પાણીને નોટિસ કર્યું તો નળ તરત બંધ કરી દીધો. પરંતુ આ વાતથી નારાજ તે શિક્ષકે ફરીથી નળ ચાલુ કરી દીધો. ૪૦૦૦ ટન પાણીની બરબાદ લગભગ એટલી હતી કે આ પૂલને આટલા પાણીથી ૧૧ વાર ભરી શકાય તેમ હતો. લોકલ ઓથોરિટીઝે શાળાના શિક્ષક અને બે સુપરવાઈઝરને આ બેદરકારી બદલ ૨૦,૬૬,૦૮૧ રૂપિયાની ચૂકવણી કરવા જણાવ્યું છે. યોકોસુકા ઓથોરિટીઝે રેસિડેન્ટ્સ પાસે શહેરના આ નુકસાન બદલ માફી પણ માંગી.
