નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દોઢ મહિના માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે અને તેમાં ત્રણ ટી૨૦, પાંચ વન-ડે તથા બે ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસથી હાલ ગંભીર આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકાને આર્થિક મદદ મળશે. શ્રીલંકા ક્રિકેટે સોમવારે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની ટિકિટના વેચાણથી થનાર તમામ આવકનું જાહેર કલ્યાણના કાર્યો પાછળ દાન કરવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટના સેક્રેટરી મોહન ડી સિલ્વાએ જણાવ્યું કે, દેશના લોકો હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક રાષ્ટ્ર પર આફત આવી છે ત્યારે આ શ્રેણીને સમર્થન આપવા બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.શ્રીલંકામાં આઝાદી પછીની સૌથી ગંભીર આર્થિક કટોકટી ઉદ્ભવી છે. વિદેશી દેવું આસમાને આંબી ગયું છે અને દેશ દેવાળું ફૂંકવાના આરે છે. સ્થાનિક લોકો હાલમાં ઈંધણ, દવાઓ અને રાંધણ ગેસ જેવી પાયાની આવશ્યક ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્ય છે. અગાઉ શ્રીલંકા ક્રિકેટ દ્વારા જરૂરી દવાઓ ખરીદવા ૨૦ લાખ ડોલરનું દાન આપ્યું હતું. કોરોનાકાળના બે વર્ષમાં શ્રીલંકામાં ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવામાં આવી હતી. ગત ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંગળવારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલંબોમાં પ્રથમ ટી૨૦ મેચ રમાશે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે સ્ટેડિયમમાં દર્શકોને મંજૂરી આપવાનો ર્નિણય કર્યો છે. આ માટે શનિવારે ટિકિટનું વેચાણ શરૂ કરાયું હતું અને ફક્ત પાંચ કલાકમાં જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. શ્રીલંકાએ ટી૨૦ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સામે જીત મેળવવા ટીમમાં બે નવા ચહેરા નુવાનિંદુ ફર્નાન્ડો અને મથીશા પથિરાનાનો સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે પ્લેઈંગ ઈલેવનમાં મિડલ ઓર્ડરમાં જાેશ ઈંગ્લિસના સ્થાને સ્ટીવ સ્મિથને સ્થાન આપ્યું છે.


